અમદાવાદ,
લોકસભાની ચૂંટણી જાહેર થવાને ગણતરીના કલાકો બાકી છે. ત્યારે ભાજપ દ્રારા બાલાકોટમાં સર્જીકલ સ્ટ્રાઇક કર્યા બાદ હવે કોંગ્રેસ પર સર્જીકલ સ્ટ્રાઇક કરવામાં આવી રહી હોય તેવું સ્પસ્ટપણે દેખાઇ રહ્યું છે. ત્યારે દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં ચહલ પહલ વધી ગઇ છે.
વહેલી સવારથી ભાજપ દ્રારા કોંગ્રેસ પર સર્જીકલ સ્ટ્રાઇક કરી માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડા પછી ધ્રાંગ્રધ્રાના ધારાસભ્ય પરષોતમ સાબરિયાનું સફળ ઓપરેશન કર્યું હતું. કયારે કયા ધારાસભ્ય કે નેતા કયા પક્ષ સાથે છેડો ફાડી કયા પક્ષ સાથે છેડો બાંધે તે કહેવું હવે મુશ્કેલ બની ગયું છે.
.હમણાંની વાત કરીએ તો ભાજપ દ્રારા લોભામણી લાલચો આપતાં જસદણના કુંવરજી બાવળીયા અને આશા પટેલ ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ છેલ્લા કેટલાક સમયથી અલ્પેશ ઠાકોર અને ધવલસિંદ ઝાલા કોંગ્રેસનો પંજો છોડી ભાજપનો કેસરીયો ધારણ કરવાની અટકળો સેવાઇ રહી હતી.
પરંતુ આ અંગે હાલ પૂંરતું આ બંને ધારાસભ્યોએ નનૈયો ભણી દીધો છે. તો બીજીબાજુ લલિત વસોયા,લલિત કગથરા અને કિરીટ પટેલ પણ ભાજપમાં જોડાવાના તર્કવિતર્ક થઇ રહ્યા હતા. પરંતુ આ ધારાસભ્યોએ પણ હાલ પૂરતી ભાજપમાં જોડાવવાની સ્પસ્ટ ના પાડી દીધી છે.
એકબાજુ કોંગ્રેસ આ ધારાસભ્યોની દેખરેખમાં હતી. ત્યાં તો ભાજપે જવાહર ચાવડા સાથે ખેલ પુરો કરી દેતાં કોંગ્રેસ દરવખતની જેમ આ વખતે પણ ઉંઘતી ઝડપાઇ હતી.
ભાજપે બધાની નજર ચૂકવી જવાહર ચાવડાનું ઓપરેશન સફળ પાર પાડી દીધું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપ કયારે કયા ધારાસભ્યનું ઓપરેશન કરે તે કહેવું મુશ્કેલ છે. ભાજપના નિશાના પર હજી કોંગ્રેસના ઘણા ધારાસભ્યો અને નેતાઓ છે.
જવાહર ચાવડાને કેબિનેટ મંત્રી બનાવવામાં આવે તેવી શકયતાઓ દેખાઇ રહી છે. તેમજ પરષોતમ સાબરિયાને પણ કોઇ જવાબદારી સોંપવામાં આવે તેવું જાણકારોનું માનવું છે.