અમદાવાદ,
આજે અમદાવાદના સરદાર સ્મારક ભવન ખાતે કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક યોજાવાની છે, જેમાં ભાગ લેવા માટે પક્ષના 50થી આગેવાનો અને કાર્યકરો અમદાવાદ આવી પહોંચ્યા છે. આજે વહેલી સવારથી જ અમદાવાદ એરપોર્ટ પર નેતાઓના આવનજવાનનો ધમધમાટ શરૂ થયો છે.
સૂત્રોના મતે, અમદાવાદમાં એરપોર્ટ સર્કલ પાસે આવેલી ઉમ્મેદ હોટલમાં બે ડઝન જેટલા રૂમો બુક કરાવાયા છે. આ સિવાય શહેરની અન્ય હોટલોમાં પણ રૂમો બુક થયા છે.એ સિવાય શાહીબાગ ખાતે આવેલ સર્કિટ હાઉસના રૂમો પણ બુક કરવામાં આવ્યા હતા.
2019ની લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે શહેરમાં રાજકીય ગતિવિધિઓ વધી છે, દેશભરમાંથી નેતાઓની અવરજવર જોવા મળી રહી છે. જેના કારણે શહેરની હોટલોમાં માર્ચથી એપ્રિલ મહિના સુધી ભારે હલચલ રહેશે અને હોટલ બુકિંગમાં 10 ટકા ઉછાળો આવશે
ગુજરાત ફેડરેશન ઓફ હોટલ્સ એન્ડ રેસ્ટોરંટ્સ અસોસિએશનના પ્રમુખ નરેંદ્ર સોમાણીએ જણાવ્યું, માર્ચનો અંત અને એપ્રિલ મહિનામાં અમદાવાદમાં હોટલ બુકિંગ્સ ખૂબ ઓછા હોય છે, કોઈ મોટી બિઝનેસ ઈવેન્ટ પણ નથી હોતી. લોકસભા ચૂંટણી પહેલા શહેરમાં રાજકીય આગેવાનોની નોંધપાત્ર સંખ્યા જોવા મળશે. કોર્પોરેટ ક્ષેત્રના લોકો તેમજ મીડિયા કર્મચારીઓ પણ દેશના વિવિધ ભાગોમાંથી અહીં આવશે. એટલે બુકિંગ વધશે.
નરેંદ્ર સોમાણીએ કહ્યું કે હોટલ બુકિંગમાં આ પ્રકારનો વધારો વિધાનસભા ચૂંટણી વખતે પણ જોવા મળ્યો હતો.