અમદાવાદ: અમદાવાદના બહુચર્ચિત સેટેલાઈટ ગેંગરેપ કેસમાં ક્રાઈમ બ્રાંચ દ્વારા પોતાની તપાસનો રિપોર્ટ મહિલા આયોગને સુપરત કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચે આ સાથે કેટલાક પુરાવાઓ પર મહિલા આયોગને સોંપ્યા છે. રિપોર્ટની સાથે સાથે ક્રાઈમ બ્રાન્ચે હજુ સુધી આ કેસમાં કોઈ આરોપીની શા માટે ધરપકડ નથી કરવામાં આવી તેના કારણો પણ રજૂ કર્યા છે. આ કેસમાં પીડિતા યુવતીએ ગૌરવ દાલમિયા, વૃભષ મારુ, યામિની નાયર અને અન્ય ત્રણ અજાણ્યા લોકો સામે ફરિયાદ આપી છે.
પીડિતાએ તપાસ સીબીઆઈને સોંપવા હાઈકોર્ટમાં અરજી કરી હતી
આ કેસમાં પીડિતાના પરિવારે ક્રાઈમ બ્રાન્ચની તપાસ સામે અવિશ્વાસ વ્યક્ત કરીને ગુજરાત હાઈકોર્ટમાં એક અરજી કરી હતી. પીડિતાના પરિવારે આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવે અથવા સીધી હાઈકોર્ટની દેખરેખ હેઠળ તપાસ કરવામાં આવે તેવી માંગણી કરતી અરજી કરી હતી. આ ઉપરાત આ કેસમાં 164 પ્રમાણે મેજિસ્ટ્રેટ સમક્ષ પીડિતાનું નિવેદન નોંધવામાં આવ્યું ન હોવાની પણ ફરિયાદ કરી હતી. જોકે, પીડિતાએ બાદમાં તપાસ સીબીઆઈને સોંપવાની અરજી પરત ખેંચી લીધી હતી. આ કેસમાં હાઈકોર્ટે પીડિતાનું 164 પ્રમાણે નિવેદન નોંધવાનો આદેશ કર્યો હતો.
ક્રાઈમ બ્રાન્ચે ગૌરવ, યામિન અને વૃષભની કરી છે પૂછપરછ
આ કેસમાં પીડિતા યુવતીએ ફરિયાદમાં જેના નામ લખાવ્યા છે તે ગૌરવ દાલમિયા, વૃષભ મારુ અને યામિની નાયરની ક્રાઇમ બ્રાંચ દ્વારા પૂછપરછ કરવામાં આવી ચૂકી છે. ગૌરવ દાલમિયા ક્રાઇમ બ્રાંચ સમક્ષ પહેલા હાજર થઈ ગયો હતો. જ્યારે વૃષભ મારુ સૌથી છેલ્લે હાજર થયો હતો. બંનેએ પોતે નિર્દોષ હોવાનું જણાવતા લાઇ ડિટેક્શન ટેસ્ટ કરવાની તૈયારી બતાવી હતી. આ કેસમાં પોલીસે ત્રણેય આરોપીની પૂછપરછ કરી છે પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
ગંભીર આરોપ લગાવતા જે. કે. ભટ્ટ તપાસમાંથી હટી ગયા
આ કેસની તપાસ ક્રાઇમ બ્રાંચ કરી રહી છે ત્યારે પીડિતા યુવતીએ ક્રાઇમ બ્રાંચના એડિશન પોલીસ કમિશ્નર જે.કે. ભટ્ટ સામે ગંભીર આક્ષેપ લગાવ્યા હતા. જો કે આ આરોપો પછી જે. કે. ભટ્ટે એક પત્ર લખીને આ તપાસમાંથી પોતાને મુક્ત કરવામાં આવે તેવી માંગણી કરી હતી. ભટ્ટની આ માંગણીને પોલીસ કમિશનર એ. કે. સિંહ દ્વારા સ્વીકારી લેવામાં આવી હતી. હાલમાં આ કેસની તપાસ ક્રાઇમ બ્રાંચના ડીસીપી પન્ના મોમાયાના વડપણ હેઠળ ચાલી રહી છે.