ગીર-સોમનાથ,
ગીર-સોમનાથના એક ગામની સીમમાં કોઈએ અજાણતાં માછલી પકડવાની પ્લાસ્ટિકની જાળીને ફેંકી દીધી હશે અને એ માણસ ત્યાંથી જતો રહ્યો હશે, પરંતુ એની આ બેદરકારીનો ભોગ એક અજગર બની ગયો હતો, કદાચ એ માણસને ખબર પણ નહી હોય કે આ પ્લાસ્ટિકની ફેંકેલી જાળીમાં ફસાયા બાદ શું અજગરની હાલત થઇ હશે..
આપણી બેદકારીની સજા વન્યજીવને…
આપણે ક્યાંક જંગલમાં પિકનિક કરવા જઈએ છીએ યા ગામના કોઈ ખેતરમાં ફરવા જઈએ છીએ અને જ્યાં ત્યાં અજાણતાં આપણે કઇંક એવી ના કામની વસ્તુને ફેંકી દઈએ છીએ જે વન્યજીવોના જીવને ખતરો બની જાય છે, કાદાચ આ કિસ્સો વાંચ્યા પછી આપણે પણ ધ્યાન રાખવું જોઈએ કે આપણી બેદકારીના કારણે કોઈ વન્યજીવનું જીવન કેટલું જોખમા આવી જાય છે.
ગીર-સોમનાથમાં અજગરને રેસ્ક્યુ કરવામાં આવ્યો છે. આ અજગર સાત ફૂટ લાંબો હતો જેને વનવિભાગના અધિકારીઓએ ભારે જહેમત બાદ રેસ્કયુ કર્યો છે.
મળતી માહિતી અનુસાર ભુવાવડ ગામની સિમમાં આવેલી એક જાળીમાં અજગર ફસાઇ ગયો હતો. જેની જાણ થતાં એક જાગૃત નાગરિકે વનવિભાગની ટીમને જાણ કરી હતી.
વનવિભાગની ટીમને ઘટનાની જાણ થતાં વનવિભાગની ટીમ તાબડતોડ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને અજગર જીવતો બહાર કાઢવાનું રેસ્ક્યુ હાથ ધર્યુ હતું.
ભારે જહેમત બાદ વનવિભાગની ટીમે જાળીને છરીથી કાપી નાંખી હતી અને અજગર જાળીમાંથી જીવતો બહાર કાઢ્યો હતો.
મહત્વનું છે કે વનવિભાગની ટીમે અજગરની શારિણિક તપાસ કર્યા બાદ ફરીથી તેને જંગલમાં મૂકી દેવાની કાર્યવાહી હાથ ધરી હતી.