મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને બુધવારે મળેલી રાજય મંત્રીમંડળની બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના સમયગાળા દરમિયાન રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓનું આયોજન થઈ શકયુ નથી ત્યારે રાજયના યુવાનોને સરકારી નોકરીઓમાં વધુ તક મળી શકે તે હેતુથી સરકારી નોકરીઓની ભરતી માટેની વયમર્યાદામાં એક વર્ષની છૂટછાટ આપીને વધુને વધુ યુવાનોને સરકારી સેવામાં જોડાવાની તક આપવાનો નિર્ણય રાજ્યમંત્રીમંડળે કર્યો છે. જીતુભાઇ વાઘાણીએ રાજ્યમંત્રીમંડળના નિર્ણયની વિગતો આપતા કહ્યું કે, વય મર્યાદાની આ છુટછાટ તા. 1 સપ્ટેમ્બર 2021થી 31 ઓગસ્ટ 2022 સુધી લાગુ કરવામાં આવી છે. રાજયમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ દ્ધારા સીધી ભરતી માટે સ્નાતક કે સમકક્ષની લાયકાતમાં બિન અનામત પુરુષ ઉમેદવારોમાં હાલની 35 વર્ષની વયમર્યાદામાં એક વર્ષનો વધારો કરીને 36 વર્ષ કરવામાં આવી છે. આ ઉપરાંત સ્નાતક કરતા ઓછી લાયકાત ધરાવતી જગ્યાઓના કિસ્સામાં બિનઅનામત પુરુષ ઉમેદવારો માટે હાલની 33 વર્ષની વય મર્યાદામાં એક વર્ષનો વધારો કરીને હવે 34 વર્ષ કરવામાં આવી છે.
શિક્ષણ મંત્રીએ કહ્યું કે, એસ.સી./એસ.ટી./ઓ.બી.સી. અને (આર્થિક રીતે નબળા વર્ગાે)ની કેટેગરીના પુરુષ ઉમેદવારોના કિસ્સામાં સ્નાતક કે સમકક્ષ લાયકાત માટેની હાલની વય મર્યાદા ૪૦ વર્ષની છે તેમાં એક વર્ષનો વધારો કરીને ૪૧ વર્ષ કરવામાં આવી છે જયારે આ કેટેગરીમા સ્નાતકથી નીચેની કક્ષા માટે 38 વર્ષની વયમર્યાદા છે તે વધારીને એક વર્ષ વધારીને 39 વર્ષની કરવામાં આવી છે
મહિલા તરીકે અનામત કેટેગરીની મહિલાઓને પાંચ વર્ષની છૂટછાટ મળે છે. તે પછી તેમની વય મર્યાદા 45 વર્ષની થાય છે. ભરતી નિયમો અંતર્ગત આ છૂટછાટ આપ્યા બાદ આ વય મર્યાદા 45 વર્ષથી વધે નહીં તેવી જોગવાઈ હોવાથી મહિલા અનામત કેટેગરીમાં વધારાનો એક વર્ષનો લાભ સિમીત થાય છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું
બિન અનામત મહિલા ઉમેદવારોના કિસ્સામાં સ્નાતક થી નીચેની લાયકાત વાળી જગ્યાઓ માટે હાલની 38 વર્ષની વયમર્યાદામાં એક વર્ષનો વધારો કરીને 39 વર્ષ કરવામાં આવી છે તેમ પણ વાઘાણીએ જણાવ્યું હતું. એટલુ જ નહીં સ્નાતક કક્ષાની જગ્યાઓ માટે બીન અનામત મહિલા ઉમેદવારોના કિસ્સામાં હાલની 40 વર્ષની વયમર્યાદામાં વધારો કરી 41 વર્ષ કરવામાં આવી છે.
એ.સી./એસ.સી./ઓ.બી.સી. અને (આર્થિક રીતે નબળા વર્ગાે)ની કેટેગરીના મહિલા ઉમેદવારોના કિસ્સામાં સ્નાતક થી નીચેની લાયકાત વાળી જગ્યાઓમાં હાલની 43 વર્ષની વયમર્યાદા વધારીને 44 વર્ષની કરવામાં આવી છે. આવી કેટેગરીમાં સ્નાતક કે સમકક્ષ લાયકાતના કિસ્સામાં વયમર્યાદા 45 વર્ષ યથાવત રાખવામાં આવી છે તેની પણ વિગતો તેમણે આપી હતી.
રાજય સરકારની સેવાઓ અને જગ્યાઓમાં એસ.સી/એસ.ટી/એસ.ઈ.બી.સી./ (આર્થિક રીતે નબળા વર્ગાે) તેમજ મહિલા કેટેગરીમાં મહત્તમ નકકી કરેલી વયમર્યાદામાં પાંચ વર્ષની છૂટછાટ કોઈપણ સંજોગોમાં ૪પ વર્ષથી વધે નહીં તે રીતે નકકી રવામાં આવેલી છે તેમ પણ પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું.