અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી (જીટીયુ)ના ઈતિહાસમાં પહેલીવાર કિંમતી ભેટો (ગિફ્ટો)નું ઓનલાઈન હરાજી કરવામાં આવશે. આ હરાજીમાંથી મળનારી રકમને મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિમાં દાન કરવાની નવતર પરંપરા શરૂ કરવામાં આવી છે. ભારતીય યુનિવર્સિટીઓમાં સૌપ્રથમવાર આવી પ્રથા શરૂ કરવાનું અનોખું કદમ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રો.(ડૉ.) નવીન શેઠે હાથ ધરવામાં આવ્યું છે.
દેશભરની યુનિવર્સિટીઓમાં સૌપ્રથમવાર પ્રો.(ડૉ.) શેઠનું અનોખું કદમ
જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો.(ડૉ.) નવીન શેઠે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. ત્યારે તેમણે તોષખાના(સરકારી તિજોરી) નામનો એક વિભાગ શરૂ કર્યો હતો. જેમાં મોદીને વિવિધ કાર્યક્રમોમાં ભેટ સોગાદ રૂપે મળેલી ચીજવસ્તુઓ વર્ષ દરમિયાન તોષાખાનામાં જમા કરાવવામાં આવતી હતી.
વર્ષમાં એકવાર આવી અમૂલ્ય ચીજવસ્તુઓની હરાજીમાંથી ઉપજેલી રકમ કન્યા કેળવણી પાછળ દાનમાં આપવાની પ્રથા તેમણે શરૂ કરી હતી. તેમાંથી પ્રેરણા મેળવીને મેં પણ જીટીયુમાં આવી જ વ્યવસ્થા હાથ ધરી છે. તેના માટે ખાસ વેબસાઈટ www.vcgift.gtu.ac.in તૈયાર કરાવવામાં આવી છે.
આ ઉમદા કાર્યમાં સહભાગી બનવા ઈચ્છતી વ્યક્તિઓએ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તેના પર હાલના તબક્કે 50 કિંમતી ભેટસોગાદોની વિગતો મૂકવામાં આવી છે. તેમાં ઈ-ઓક્શનની ન્યૂનતમ રકમ પણ દર્શાવવામાં આવી છે.
વેબસાઈટ પર રજૂ કરાયેલી કિંમતી ભેટસોગાદોમાં અમુક ઈમ્પોર્ટેડ ગિફ્ટ તેમજ સોનાની ફોટો ફ્રેમ સહિતની ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે. જીટીયુના સ્થાપના દિન પ્રસંગે કંઈક વિશિષ્ટ કાર્ય કરવાની મારી વિવિધ યોજનાઓના ભાગરૂપે આ વિચાર મને આવ્યો અને મેં તેને અમલમાં મૂક્યો છે. બેટી બચાઓ, બેટી પઢાઓ અભિયાનમાં હું આ કાર્યથી જે કંઈ ફાળો આપી શકીશ તો સમાજ માટે કામગીરી કર્યાનો મને સંતોષ થશે, એમ તેમણે ઉમેર્યું હતું.
જીટીયુ ખાતે નિયમિતપણે યોજાતા વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા દેશ-વિદેશના અગ્રણીઓ અને પ્રતિનિધિઓ આવતા હોય છે. તેઓ વાઇસ ચાન્સેલરને ભેટ આપવા ગીફ્ટ લાવતા હોય છે. આ કિંમતી ભેટોનો સદુપયોગ થાય તેના માટે તેનું ઓનલાઈન હરાજી કરીને તેમાંથી મળનારી રકમ કન્યા કેળવણી મંડળમાં આપવામાં આવે પર સમાજ ઉપયોગી કાર્ય થયું ગણાય એવા વિચાર સાથે આ યોજના શરૂ કરવામાં આવી છે, એમ જીટીયુના ઈન્ચાર્જ રજીસ્ટ્રાર ડૉ. એસ.ડી. પંચાલે જણાવ્યુ હતું.