ગુજરાતના સ્થાપના દિવસે રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે.આ નિર્ણય પ્રમાણે 1 મે થી રાજ્યભરની રેસ્ટોરન્ટ દુકાનો અને હોટલો આખી રાત ચાલુ રાખી શકાશે.રાજ્યના ડેપ્યુટી સીએમ નીતિન પટેલે જણાવ્યું હતું કે સરકારે ગુમાસ્તા ધારા (ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, 2019)ની અમલવારીનું જાહેરનામું ગેઝેટ દ્વારા બહાર પાડી દીધું છે. ગુજરાતનાં મોટાં શહેરો, રાષ્ટ્રીય ધોરીમાર્ગો(નેશનલ હાઇવે), રેલવે પ્લેટફોર્મ, એસટી બસ સ્ટેશનો પર હોસ્પિટલો કે પેટ્રોલપંપો પરની તમામ દુકાનો, હોટેલો, રેસ્ટોરન્ટ, સિનેમાગૃહો, દવાખાનાં કે અન્ય વ્યાવસાયિક સંસ્થાનો ચોવીસ કલાક ખુલ્લાં રાખી શકાશે.
માર્ચ 2018 માં વિધાનસભાગૃહમાં સરકારે દુકાનો હોટલો અને રેસ્ટોરન્ટ ચોવીસ કલાક ચાલુ રહી શકે તે માટેનું કાયદો પસાર કર્યો હતો ત્યારબાદ સુધારા વિધેયક પણ રાજ્યપાલે મંજૂર કર્યું હતું.
જો કે લોકસભાની ચૂંટણીની આચારસંહિતા આવી જ તેનો અમલ થઈ શકતો નહોતો બીજી બાજુ ગુજરાતમાં મતદાન પૂર્ણ થઇ ગયું છે આથી સરકારે આ કાયદાનો અમલ કરવા માટે ચૂંટણીપંચની મંજૂરી માગી હતી.
ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાએ જણાવ્યું કે રાજ્યપાલ પાસેથી મંજૂરી મળ્યાં બાદ આ કાયદાના અમલીકરણ માટે અમે ચૂંટણી પંચની મંજૂરી માગી હતી. આ મંજૂરી મંગળવારે જ મળી જતાં હવે મધરાતથી જ આ કાયદો અમલમાં આવી ગયો છે.
ચુંટણીપંચે આજે સત્તાવાર રીતે મંજૂરી આપી દેતા આજ મધરાતથી જ કાયદો અમલી બની જશે એટલે કે આજે રાત્રે ૧૨ વાગ્યાથી રાજ્યભરમાં હોટલો અને દુકાનો 24 કલાક સુધી ખુલ્લી રાખી શકાશે જેના માટે કોઈપણ મંજૂરી લેવાની પણ જરૂર નથી
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ખાતરી આપી હતી કે ૨૪ કલાક દુકાન હોટલ રેસ્ટોરન્ટ ચાલુ રહેશે તો પણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રખાશે.