અમદાવાદ: આમરણાંત ઉપવાસના નવમાં દિવસે હાર્દિક પટેલનું રૂટિન ચેકઅપ કરવા માટે સોલા સિવિલની મેડિકલ ટીમ પહોંચી હતી. પરંતુ હાર્દિકે મેડિકલ ચેકઅપ કરાવવાનો ઇનકાર કરી દીધો હતો. હાર્દિક પટેલે રૂટિન ચેકઅપ માટે ના પાડી દેવામાં આવી હતી. હાર્દિકના ઇનકાર બાદ સરકારી ડોક્ટરોએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે હાર્દિકે સંપૂર્ણપણે મેડિકલ ચેકઅપ કરાવવાનો ઇનકાર કરી દીધો છે. આ દરમિયાન ઉપવાસ છાવણી બહાર પાસના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેમાં પોલીસે હળવો લાઠીચાર્જ પણ કર્યો હતો.
ચેકઅપ માટે હાર્દિકે કેમ કર્યો ઇનકાર?
ઉપવાસ છાવણીની બહાર હાર્દિકને મળવા માટે આજે મોટી સંખ્યામાં ‘પાસ’ના કાર્યકર્તાઓ ઉમટી પડ્યાં હતા. જો કે હાર્દિકને મળવા માટે ખાસ લોકોને જ એન્ટ્રી આપવામાં આવે છે. આથી હાર્દિકને મળવા માટે ‘પાસ’ના કાર્યકર્તાઓ ઉશ્કેરાઈ ગયા હતા. આ દરમિયાન ટોળાઓ એકઠાં થઈ ગયા હતા. જેના કારણે ટોળાઓને વિખેરવા માટે પોલીસ દ્વારા હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. જયારે બીજી તરફ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, પોલીસ દ્વારા ‘પાસ’ના કાર્યકર્તાઓના વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે. જેથી આ મામલાને લઇને નારાજ થયેલા હાર્દિક પટેલે પોતાનું મેડિકલ ચેકઅપ કરાવવાનો ઇનકાર કરી દીધો છે. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, પોલીસ લાઠીચાર્જ કરવાનું અને પોતાની જોહુકમી કરવાનું બંધ કરે, ત્યારબાદ જ હું મેડિકલ ચેકઅપ કરાવીશ.
‘પાસ’ નેતા હાર્દિકની તબિયત નાદુરુસ્ત
ઉપવાસનાં નવમાં દિવસે પણ હાર્દિક પટેલનો આમરણાંત ઉપવાસ યથાવત છે. જોકે નવ દિવસના સતત ઉપવાસની અસર તેનાં પર જોવા મળી રહી છે આજે સવારે તે બેભાન થઇ ગયો હતો. તેના શરીરમાં દુખાવો થાય છે અને અશક્તિ આવી ગઇ છે. સવારે હાર્દિક પટેલનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. જે અંગે સરકારી ડોક્ટર સોલંકીનાં જણાવ્યાં મુજબ હાર્દિક પટેલે ફરિયાદ કરી છે કે તેને આખો દિવસ ચક્કર આવે છે તેમજ ઉબકા આવે છે. આ ફરિયાદ પછી ડોક્ટરે તેને હોસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપી છે. પરંતુ હાર્દિક પટેલ હોસ્પિટલમાં દાખલ થવા માટેની ના પાડે છે.