અમદાવાદ: PM નરેન્દ્ર મોદી ફરી એક વખત આવતી કાલે એક દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. પીએમ નરેન્દ્ર મોદી તા. 23 ઓગસ્ટના રોજ તમામ કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ પક્ષના નેતાઓ સાથેના ડિનર ડિપ્લોમસીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પીએમ મોદી એક કલાક કરતા વધુ સમય સુધી ભાજપના નેતાઓ સાથે બેઠક કરશે. જેમાં આગામી લોકસભાની ચૂંટણી અને રાજ્યની વર્તમાન પરિસ્થિતિ સંદર્ભે ચર્ચા કરીને માર્ગદર્શન આપશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતના પ્રવાસનો કાર્યક્રમ ફરી એક વખત ઘડાઈ ચૂક્યો છે જેના અંતર્ગત PM મોદી તા. 23 ઓગસ્ટના રોજ સવારે 9.30 વાગ્યે સુરત એરપોર્ટ પહોચશે. સુરત એરપોર્ટથી હેલિકોપ્ટર મારફત વલસાડ પહોંચશે. જ્યાં PM મોદી 12 વાગ્યા સુધી વલસાડના એક કાર્યક્રમમાં રોકાશે.
વલસાડ સ્થિત કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન મોદી હેલિકોપ્ટર જૂનાગઢ જવા રવાના થશે. જ્યાં જૂનાગઢ ખાતેના એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં યોજાનાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે, આ કાર્યક્રમ પૂર્ણ કરીને તેઓ ગાંધીનગર જવા રવાના થશે. બપોરે 3 વાગ્યા બાદ ગાંધીનગરમાં આગમન થશે.
PM મોદી રાજભવનમાં 30 મિનીટનું રોકાણ કરશે. રાજ ભવનની મુલાકાત બાદ તેઓ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. FSL નો કાર્યક્રમ પૂર્ણ બાદ વડાપ્રધાન ફરી એકવાર રાજભવન પહોંચશે. જ્યાં તેઓ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને સભ્યો સાથે મુલાકાત કરશે.
આ મુલાકાત બાદ વડાપ્રધાન મોદી ભાજપના આગેવાનોની સાથે ડીનર ડિપ્લોમસી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડાપ્રધાન મોદી ગુજરાત ભાજપના આગેવાનો આગામી લોકસભાની ચૂંટણી અને વતર્માન રાજકીય પરિસ્થિતિ સંદર્ભે ચર્ચા- વિચારણા કરશે. તેમજ ગુજરાત ભાજપના આગેવાનોને જરૂરી માર્ગદર્શન પણ આપશે.
અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેદ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ વલસાડ, જૂનાગઢ અને ગાંધીનગરની મુલાકાત લેવાના છે. ત્યારે તંત્ર દ્વારા વલસાડ અને જૂનાગઢમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.