અમદાવાદ: પાસના નેતા હાર્દિક પટેલે ખોડધામના પ્રણેતા નરેશ પટેલની મુલાકાત અગાઉ જ પોતાના સૂર બદલી નાખ્યા છે. અમરણાંત ઉપવાસના પારણાં માટે મધ્યસ્થીને લઈને હાર્દિક પટેલની પહેલી પ્રતિક્રિયા ટ્વિટર દ્વારા સામે આવી છે.
પાટીદારોને અનામત આપવા અને ખેડૂતોના દેવાં માફી સહિતના મુદ્દે આમરણાંત ઉપવાસ ઉપર બેસેલા ‘પાસ’ના નેતા હાર્દિક પટેલે ટ્વિટર પર લખ્યુ છે કે, વ્યક્તિગત કોઈને મધ્યસ્થી કરવાનું કહ્યું નથી. હાર્દિક પટેલની આ ટ્વીટને લઈને સરકારની ગડમથલ વધી ગઈ છે. કારણ કે, આજે ખોડલધામના નરેશ પટેલ મધ્યસ્થીને લઈને અમદાવાદ આવી રહ્યા છે.
https://twitter.com/HardikPatel_/status/1037913358589194240
આ અગાઉ પાટીદાર સમાજના અગ્રણી સી.કે. પટેલ મધ્યસ્થીનો પ્રયાસ કરી ચુક્યા છે ત્યારે હાર્દિક પટેલે કોઈનું નામ લીધા વિના ટ્વિટ કર્યુ છે કે, વ્યક્તિગત કોઈને મધ્યસ્થી કરવાનું કહ્યું નથી. આ આંદોલન છે અને કોઈ પણ વ્યક્તિ આંદોલનના મુખ્ય મુદ્દાઓનું સમાધાન કરી શકે છે. આ મુદ્દાઓ પર સરકારની પ્રતિક્રિયા રાહ જોવામાં આવી રહી છે.
આ ઉપરાંત હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, સમાજના તમામ આગેવાન અને સંસ્થાનું સન્માન કરું છું, પણ હું આંદોલનકારી છું, મારે ફક્ત મુદ્દાઓ સાથે મતલબ છે. છેલ્લા ત્રણ વર્ષથી સમાજના આગેવાનો મધ્યસ્થી કરે તો છે. આમ હાર્દિક પટેલે મધ્યસ્થી કરનારાઓ પર ક્યાંકને ક્યાંક માર્મિક સવાલ ઉઠાવ્યા છે. જે જોતાં હવે હાર્દિક પટેલની સાથે નરેશ પટેલની મુલાકાત પહેલાં નવા સમીકરણો રચાય તેવી શક્યતા રહેલી છે.
જયારે બીજી તરફ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના કાર્યક્રમમાં ફેરફાર કર્યો છે અને તેમને આજે પોતાની વીએસ હોસ્પિટલનો કાર્યક્રમ રદ્દ કર્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી ખોડલ ધામના પ્રણેતા નરેશ પટેલ સાથે મુલાકાત કરી શકે છે. બપોરના સમયે નરેશ પટેલ સાથે મુલાકાત કરી શકે છે.