ગુજરાત
પાસ નેતા હાર્દીક પટેલે આગામી 25 ઓગસ્ટે ઉપવાસ પર બેસી રાજ્ય સરકાર સામે બાયો ચઢાવાની પૂર્વ તૈયારી પૂરજોશમાં આરંભી છે. સૌરાષ્ટ્રમાં દળવાથી દ્વારકા સુધીની વિજય સંકલ્પ યાત્રાનું આયોજન કર્યુ છે.
વિજય સંકલ્પ યાત્રા જેતપુર પહોંચી હતી. જ્યા મોટા પ્રમાણમાં પાટીદારોએ ઉપસ્થિત રહી તેનુ ઉમળકાભેર સ્વાગત કર્યુ હતુ. હાર્દિક જેતપુરમાં સરદાર પટેલના સ્ટેચ્યુને હાર પહેરાવી લોકોને સંબોધન કર્યુ હતુ.
દળા ગામ ખાતે પાટીદારોને સંબોધન કરતા હાર્દિકે 25મી ઓગસ્ટના રોજ અમાદવાદ ખાતે ઉપવાસ દરમિયાન મોટી સંખ્યામાં હાજર રહેવા પાટીદાર યુવકોને હાંકલ કરી હતી. હાર્દિકે કહ્યું હતું કે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે તેમજ પાટીદાર યુવકોને પડી રહેલી વિવિધ મુશ્કેલીઓને લઈને હું આમરણાંત ઉપવાસ કરી રહ્યો છું.
જે દરમ્યાન તેમણે જણાવ્યુ હતુ કે, આગામી 25 ઓગસ્ટે ઉપવાસ આંદોલન ખેડૂતો અને પાટીદારોના અનામત માટે કરવામાં આવશે. આ ઉપવાસમાં જોડાવા, લોકજાગૃતી લાવવા સ્થાનિક લોકોને અપિલ કરી હતી.
હાર્દિકની સંકલ્પ યાત્રામાં 100 જેટલી કારનો કાફલો તેમજ મોટી સંખ્યામાં બાઇક ચાલકો જોડાયા છે. આ યાત્રા જેતપુર તાલુકાના મોટા દડવા ગામથી ઈશ્વરીયા, કાનપર, સાણથલી, વાંસાવડ, દેરડી-કુંભાજી, સુલતાનપુર, અમરનગર, જેતપુર, ધોરાજી, ઉપલેટા, કોલકી, પાનેલી, સિદસર, જામજોધપુર, ભાણવડ, લાલપુર, જામનગર, જામખંભાળીયા થઈને રાત્રે દ્વારકા પહોંચશે.