2002માં ગોધરામાં ટ્રેન સળગાવવાના મુદ્દે આજે ગુજરાત હાઇકોર્ટએ મોટો ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટ દ્વારા 11 દોષીતોને ફાંસીની સજાને આજીવન કેદમાં તબદીલ કરવામાં આવી છે. જ્યારે 20 દોષીતોને આજીવન કેદની સજા યથાવત રાખી છે. આ ઉપરાંત હાઇકોર્ટે મૃતકોના પરિવારજનોને 10 લાખનો વળતર ચૂકવવાનો નિર્ણય સંભળાવ્યો છે. ઉપરાંત આ વળતર એક અઠવાડિયામાં આપવાનું હાઈકોર્ટે જણાવ્યુંં છે.હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટે મુક્ત કરેલાં 63 આરોપીઓને મુક્ત રાખવા આદેશ કર્યો છે.
શું હતી 2002ની આ ઘટના?
મહત્વનુ છે કે, ફેબ્રુઆરી 2002માં ગોધરા સ્ટેશન પર સાબરમતી એકસપ્રેસ ટ્રેનનો કોચ સળગાવી દેવામાં આવ્યો હતો. આ ઘટના બાદ 57 કાર સેવકોના મોત નિપજ્યા હતા. જેના પગલે નીચલી કોર્ટ દ્વારા વર્ષ 2011માં પકડાયેલા 11 આરોપીઓને ફાંસીની સજા આપી હતી જ્યારે 20 આરોપીઓને જન્મટીપની સજા ફટકારી હતી અને 63 આરોપીઓને કોર્ટે નિર્દોષ છોડી દિધા હતા. ત્યાર બાદ ગોધરા જિલ્લા અદાલતના આ હુકમને સરકારે કોર્ટમાં પડકાર્યો હતો અને નિદોર્ષ છૂટી ગયેલા આરોપીઓને સજા કરવાની માગણી કરી હતી. જ્યારે ફાંસીની સજા અને જન્મટીપની સજા પામેલા કેદીઓએ જિલ્લા અદાલતના હુકમને રદ કરવાની અપીલ કરી હતી. ત્યાર બાદ ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ કેસમાં બંન્ને પક્ષોની દલીલ સાંભળવામાં આવી હતી અને સોમવારના રોજ હાઈકોર્ટે આ મામલે પોતાનો મોટો ચુકાદો સંભળાવ્યો છે.