ઇડર,
ઉનાળો બળબળતો થવા લાગે એ સાથે જ પાણીની રામાયણ દરેક ગામ અને શેરી મહોલ્લામાં સર્જાતી હોય છે, તો પ્રજા તંત્ર પર પાણી માટે દોષ દેતી હોય છે તો તંત્ર પાણી બચાવોની ઝુંબેશને પ્રાધાન્ય આપવામાં પરોવાઇ જતુ હોય છે અને ઉનાળો શમતા જ જાણે કે પાણીની ચિંતા કોરાણે મુકી દઇ તંત્ર અને પ્રજા બંને હાશકારો લઇ લેતા હોય છે.
આમ તો ઉનાળો આવતા જ લોકો અને તંત્ર બંને જાણે કે પાણી બચાવો અને પાણીની સમસ્યાની બુમો અને ઉકેલની વાતોમાં લાગી જતા હોય છે પરંતુ ઇડરનુ દરામલી એક એવુ ગામ છે કે જ્યા બારે માસ પાણીના બગાડ પર નિયંત્રણ અને પાણીના વિતરણની યોગ્ય વ્યવસ્થા કરીને પાણીની સમસ્યા ઓછી વેઠવી પડે તેવો પ્રયાસ કરે છે અને એ પણ મહીલાઓ.
પરંતુ સાબરકાંઠાના ઇડરના દરામલી ગામની વાત જ કંઇક અલગ છે. અહી ગામમાં બારેમાસ પાણીના પહેરેદારો છે અને એ પણ મહીલા પહેરેદારો. ગામાંથી ગ્રામપંચાયતના નિમાયેલ આઠ મહીલા સભ્યો પાણીના વિતરણ અને બચાવ પર દેખરેખ રાખે છે. મહીલાઓનુ જુથ પાણીના બગાડ પર નિયંત્રણ અને પાણીના યોગ્ય વ્યવસ્થા પર ધ્યાન રાખે છે અને પાણી સમસ્યા ઓછી વેઠવી પડે ગ્રામજનોને એ માટે પહેરેદારી કરી છે. આ માટે પાણીનો બગાડ કરતા પરીવારોને ૧૦૦ રુ દંડ પણ આ મહીલાઓ ફટકારે છે પણ ગામ પણ એટલુ જ મહીલાઓની વાતને માને છે કે દંડની જરુર પડતી નથી. તો પાણી પણ કયા સમયે કેટલા પ્રમાણમાં વિતરણ કરવુ તેનુ પણ ધ્યાન ઋતુ અનુસાર બારેમાસ રાખે છે.
પાણી સમિતિ સભ્ય કોકીલાબેન પટેલ જણાવ્યાં પ્રમાણે પાણીની તંગી હોવાને લઇને પાઇપલાઇ દ્રારા પાણી ગામમાં આવે છે અને તે પાણીને વાલ્વની પદ્ધતી રાખી છે અને તે માટે પાણીનુ વિતરણ કરી એ છીએ, પાણી સમિતી દ્રારા પાઇપના લીકેઝનુ પણ સતત ધ્યાન રાખવામાં આવે છે અને પાણી બચાવવા માટે લોકોને પણ જાગૃત કરીએ છીએ. દરામલી ગામમાં આમ તો પાણીની સમસ્યા વર્તાતી હતી અને એટલે જ પાંચ કીલોમીટર દુરથી પાણી પાઇપલાઇન માર્ફતે ગામમાં પાણી પહોંચાડાયુ છે અને તે પાણીનુ ટીંપુ ટીંપુ યોગ્ય રીતે ઉપયોગમાં લેવાય તેવો પ્રયાસ કરાય છે.
આ મહીલાઓ સવારે પાણીનુ વિતરણ પણ ગામના મહોલ્લા પ્રમાણે કરે છે. ગામમાં મહીલાઓએ પાણી વિતરણ માટે પાઇપલાઇનો પર યોગ્ય વાલ્વ ફીટ કરાવ્યા છે અને તેના મારફતે ગામને એક એક કલાક મહોલ્લામાં વારાફરતી સમયપત્રક અનુસાર મળે છે અને એ પણ એક મીનીટનો સમય આગળ પાછળ કર્યા વિના જ અને પુરી 60 મીનીટ જ પાણી વિતરણ કરાય છે તો વળી પાણીનો બચાવ કરવા માટે પાણી પણ આંતરે દીવસે જ દરેક ઘરને મળે તેવી પણ વ્યવસ્થા રાખી છે જેથી દરરોજ અપાતા પાણીથી આખાય ગામના તમામ ઘરને પાણીના મળે અને લોકો પણ પાણીની કિંમત સમજે અને પાણીનો વ્યય પણ ના કરે, આઠેય મહીલાઓ પોતાના ઘરના કામકાજ ઉપરાંતનો સમય પાણીના બચાવના ઉદ્દેશથી પાણી વિતરણની વ્યવસ્થા સંભાળે છે.
દરામલી ગામના સરપંચ હેતલબેન દેસાઇએ જણાવ્યું હતું કે, મહીલાઓ જે પાણીનો બગાડ કરતી હોય છે તેને ધ્યાને રાખીને અમે ગામની મહીલા સભ્યો દ્રારા ગામમાં મહીલાઓને પાણી બચાવવા માટે સમજાવીએ છીએ અને બગાડ કરે તો ૧૦૦ રુ દંડ પણ કરીએ છીએ, અમે પાણી બચાવતા હોવાને લઇને અમે વિશ્વ જળ દિવસે અમને એવોર્ડ પણ આપવામાં આવ્યો છે.
કહે છે ને કે પાણીને પ્રસાદની જેમ ઉપયોગ કરવો જોઇએ અને એવો જ ઉપયોગ ના પાઠ જાણે કે આ મહીલાઓએ જળ બચાવ શિક્ષકની જેમ જ ગ્રામજનોને ભણાવી દીધા છે અને એટલે જ દરામલી ગામમાં ગંદકી ઓછી દેખાય છે અને જળ બચાવ વધુની સફળતા મહેંકી રહી છે.