પાટનગર ગાંધીનગર ખાતે સૌપ્રથમ ગ્લોબલ પાટીદાર બિઝનેશ સમિટનો પ્રારંભ થઇ ગયો છે. આ સમિટનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપ-મુખ્યમંત્રી નીતિન પટેલે દીપ પ્રગટાવી અને રાષ્ટ્રગાન ગાઈને કરાયું હતું. આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, કેબિનેટ મંત્રી સૌરભ પટેલ અને ખોડલધામના પૂર્વ પ્રમુખ નરેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સુરતના ઉદ્યોગપતિઓ અને ઉમિયાધામના ટ્રસ્ટ્રીઓ તેમજ ૩૨ જેટલા દેશોમાંથી ૧૦ હજાર જેટલા પાટીદાર બીઝનેસમેન આ સમીટમાં ભાગ લેવા આવી પહોંચ્યા હતાં.
ત્રણ દિવસ સુધી ચાલનારી આ બિઝનેસ સમિટમાં રોજના ત્રણ લાખ લોકો તેમા ભાગ લેશે તેવો અંદાજ વ્યકત કર્યો છે. દેશ વિદેશમાંથી આવેલા પાટીદાર બીઝનેસમેનને આકર્ષવા માટે ૫૦૦ જેટલા સ્ટોલ પણ ઉપલબ્ધ છે. આ સમીટમાં રાજકીય, ધંધાકીય અને નેતાઓ પણ હાજરી આપશે. ઉલ્લેખનિય છે કે, સરદારધામ દ્વારા મિશન ૨૦૨૬ના ભાગરૂપે પાટીદાર સમાજના સામાજિક અને આર્થિક વિકાસને વેગ આપવા ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ પ્રસંગે સીએમ વિજય રુપાણીએ જણાવ્યું કે, “જે કામ સરકારે કરવાનું હોય તે સરદાર ધામ કરે છે. આ સમિટથી અન્ય સમાજને પણ આમાંથી પ્રેરણા મળશે. રાજ્યમાં પાટીદાર સમાજ દાયકાઓ સુધી ખેતી કરતો હતો. અને ગુજરાતના પાયામાં પાટીદાર સમાજ છે”. તેઓએ વધુમાં જણાવતા કહ્યું કે, સૌરાષ્ટ્રમાં ૭૫ % ઉદ્યોગ પાટીદાર સમાજના છે. ઉદ્યોગ અને નોકરીઓમાં આ સમિટથી લાભ થશે. સમાજ નહીં પણ ગુજરાત સાથે છે અને સરકાર જયારે જરૂર હોય છે ત્યારે સાથે જ છે. ગાંધી અને સરદાર ના ગુજરાત ને પ્રતિષ્ઠા અપાવી છે. આપ આગળ વધો અન્ય સમાજના લોકો પણ આ રસ્તે આગળ આવશે.