મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે અમદાવાદમાં એપ્રેન્ટીસશીપ યોજના અંતર્ગત 8,500 યુવાનોને કરાર પત્રોનું વિતરણ કર્યું હતું. આ સમયે તેમણે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું કે, ગુજરાતમાં જે ઉદ્યોગો અને સર્વિસ સેક્ટરના સાહસો આવશે તેમણે 80 ટકા ગુજરાતીઓને રોજગારી આપવી પડશે.
તેમજ જે વિસ્તારમાં તેની સ્થાપના થાય ત્યાંના 25 ટકા સ્થાનિક લોકોને સમાવવાની જવાબદારી લેવી પડશે. સરકાર આગામી દિવસોમાં આ મામલે કાયદો લાવવાની દિશામાં આગળ વધી રહી છે.
આ સિવાય મુખ્યમંત્રીએ કહ્યું કે, અત્યાર સુધી ઈમ્પોર્ટને કારણે આપણે ઘણું સહન કર્યું. હવે મેક ઈન ઇન્ડિયા અન્વયે આ દેશની ધરતી પર જ નવીનતમ ટેકનોલોજી સાથે શ્રેષ્ઠ ઉત્પાદન કરવા છે.
આ માટે નવી ટેકનોલોજીને અનુરૂપ 140 જેટલા નવા કોર્ષ તમામ તાલુકાઓમાં આઈ.ટી.આઈ સાથે શરૂ કર્યા છે. જેમાં પોણા બે લાખ યુવાઓ આ કોર્ષિસની તાલીમ મેળવે છે.