ગાંધીનગર,
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને એનસીપીના નેતા શંકરસિંહ વાઘેલાના ગાંધીનગર નજીક આવેલા નિવાસસ્થાન વસંત વગડા ખાતે ચોરીની ઘટના બનતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું.
શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાનેથી નોકરે જ રૂ. 2 લાખના દાગીના અને રૂ. 3 લાખની રોકડ મળીને રૂ. 5 લાખની મતાની ચોરી કરી હતી.
મળતી માહિતી અનુસાર, રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના ગાંધીનગર- રાંધેજા રોડ પર આવેલા નિવાસ સ્થાન વસંત વગડા બંગલામાં છેલ્લા ચાર વર્ષથી બાસુદેવ નેપાળી ઉર્ફે શંભુ ગુરખા અને તેની પત્ની શારદા ઘરઘાટી તરીકે કામ કરતા હતા.
દંપતી બાળકો સાથે વસંત વગડામાં જ રહેતા હતાં. પરંતુ શંકરસિંહની બહેનના દીકરાના લગ્નમાં વ્યવહાર માટે આશરે ત્રણ લાખ અને 12 તોલા સોનાના દાગીના ઘરમાં મુક્યા હતા.
ઓક્ટોબર 2018માં શંભુ તેના બાળકોને નેપાળ ભણવા મૂકવા જવાનું કહી પત્ની સાથે વતનમાં ગયો હતો. પરંતુ જ્યારે 7 ફેબ્રુઆરી 2019એ લગ્ન પ્રસંગ આવતા ઘરમાં રહેલા રોકડ અને દાગીના લેવા જતા જણાયા ન હતાં.
ત્યારે ઘરમાં ચોરી થઇ હોવાનું જણાયું હતું. આ અંગે સૂર્યસિંહ ચાવડાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને ચોરી કરનાર નોકરને ઝડપી પાડવા કવાયત આરંભી છે.