અમદાવાદ: વડતાલના સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિ અજેન્દ્રપ્રસાદને ગાદી પરથી પદભ્રષ્ટ કરવાના મામલે ચાલી રહેલા કેસમાં નડિયાદ સેશન્સ કોર્ટ દ્વારા આગામી તા. ૧૬ જુલાઈના રોજ ચુકાદો આપવામાં આવશે.
વડતાલ સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિના મુદ્દે છેલ્લા ૧૩ વર્ષ કરતા વધુ સમયથી કોર્ટમાં વિવાદ ચાલી રહ્યો છે. આ ચાલી રહેલા વિવાદમાં આજે નડિયાદ સેશન્સ કોર્ટમાં વધુ એક મુદત પડી હતી.
હવે આ મામલે વધુ સુનાવણી આગામી તા. 16મી જુલાઈના રોજ હાથ ધરવામાં આવશે. આ અગાઉની સુનાવણી વખતે જજ રજા પર હોવાથી આ કેસની સુનાવણી 22મી જૂન પર મુલતવી રાખવામાં આવી હતી.
આગામી સુનાવણીમાં કોર્ટ દ્વારા ચુકાદો જાહેર કરવામાં આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નડિયાદ સેશન્સ કોર્ટ દ્વારા આજે આપવામાં આવનાર આ ચુકાદાના પગલે વડતાલધામમાં તંત્ર દ્વારા પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. આ અગાઉ સુનાવણી વખતે ગઢડાના એસ.પી.સ્વામી અને સ્વામી અજેન્દ્રપ્રસાદના પુત્ર નૃગેન્દ્રપ્રસાદ કોર્ટમાં હાજર રહ્યા હતા.
આ આખો મામલ શું છે?
વર્ષ ૨૦૦૩માં વડતાલ મંદિરના ગાદીપતિ એવા આચાર્ય અજેન્દ્રપ્રસાદ નરેન્દ્રપ્રસાદ પાંડેને પરંપરાની વિરુદ્ધ વર્તન કરવા બદલ ગાદી પરથી દૂર (પદભ્રષ્ટ) કરવામાં આવ્યા હતા. તેમના પર એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેઓ નિયમ પ્રમાણે પાર્ષદોને દીક્ષા આપી રહ્યા ન હતા તેમજ ચરણભેટ પણ સંસ્થામાં જમા કરાવી રહ્યા ન હતા.
એસપી સ્વામી શું કહ્યું
આજે સુનાવણી અંતર્ગત નડિયાદ કોર્ટમાં ઉપસ્થિત રહેલા વડતાલ સ્વામિનારાયણ મંદિર સંસ્થાના ગઢડા મંદિરના એસ.પી. સ્વામી કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા. સુનાવણી બાદ એસ.પી. સ્વામીએ પત્રકારોને જણાવ્યું હતું કે, કોર્ટ દ્વારા આજે જજમેન્ટ આપવામાં આવનાર હતું, પરંતુ જજ દ્વારા આજે મુદત આપીને આગામી તા. ૧૬ જુલાઈના રોજ પોતાનો ચુકાદો આપશે.
પત્રકારોએ તેમને પૂછ્યું હતું કે, ચુકાદો કોની તરફેણમાં આવશે? તો તેમણે જણાવ્યું હતું કે, ચુકાદામાં સ્વામીનારાયણ ધર્મનો વિજય થશે.