અમદાવાદ: ગિરના ધારી પંથકમાં આવેલા દેવળા ગામે રવિવારે વહેલી સવારે ઊંડા કૂવામાં એક સિંહણ પડી ગઈ હતી. જે અંગે વન વિભાગના તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને તેને જીવિત બહાર કાઢવામાં આવી હતી.
ગુજરાત કે ભારતમાં જ નહિ સમગ્ર એશિયામાં એક માત્ર જગ્યાએ જોવામાં મળતા એશિયાટિક લાયન ફક્ત ગિર અને સાસણની આસપાસના વિસ્તારમાં જોવા મળે છે. ઘણી વખત ગિરના સિંહ શિકારની પાછળ પાછળ ગિર અને સાસણની બહાર નિકળીને માનવ વસવાટ તરફ નીકળી પડે છે.
આજે રવિવારે વહેલી સવારે પણ એક સિંહણ માનવ વસવાટ તરફ આવી ગઈ હતી અને એક ઊંડા કૂવામાં ખાબકી હતી. જો કે ગામજનોની સમયસૂચકતાના કારણે તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરીને તેને બહાર કાઢવામાં આવી હતી.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ધારીના દેવળા ગામે આજે રવિવારે વહેલી સવારે 30 ફૂટ ઉંડા કૂવામાં એક સિંહણ ખાબકી હતી. આ અંગેની જાણ ગામલોકોને થતા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તાકીદે વન વિભાગને જાણ કરી હતી.
આ માહિતી મળતા જ વન વિભાગનો કાફલો તુરંત પાંજરા સહિતની રેસ્ક્યુ સામગ્રી સાથે આવી પહોંચ્યો હતો. વન વિભાગના સ્ટાફે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી 30 ફૂટ ઊંડા કૂવામાંથી સિંહણને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી.
આશરે બે અઢી કલાકની ભારે જહેમત બાદ સિંહણને જિવતી બહાર કાઢવામાં આવી હતી. બહાર કઢાયેલી સિંહણને પાંજરામાં પૂરીને તેને જંગલ વિસ્તારમાં છોડવા માટેની તજવીજ વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હતી. સિંહણનો બચાવ થતાં ગામલોકોએ અને વન વિભાગે ભારે રાહતનો શ્વાસ લીધો હતો.
વન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર કૂવામાં પડેલી આ સિંહણ આશરે ત્રણ વર્ષની હોવાનું જાણવા મળ્યું છે. રેસ્ક્યુ કરીને બહાર કઢાયેલ આ સિંહણને સારવાર આપીને ફરીથી જંગલમાં છોડી દેવામાં આવી હતી.