વડોદરા
ગુજરાત પ્રવાસના બીજા દિવસે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કરજણમાં જાહેરસભા મોદી સરકાર પર નિશાન તાકતાં કહ્યું હતું કે 2014ના ઇલેક્શન પહેલાં મોદીએ કહ્યું હતું કે તે પીએમ નહીં પરંતું ચોકીદાર બનશે પરંતું હવે તો ચોકીદાર સામે જ ચોરી થઇ રહી છે.
રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય સેવક સંઘ(આરએસએસ) પર પણ નિશાન સાધતા કહ્યું હતું કે આરએસએસમાં તમે ક્યારેય કોઇ મહિલાને શાખામાં શોર્ટમાં નહીં જોઇ હોય.
કરજણમાં સભા સંબોધતા પહેલાં રાહુલ ગાંધીએ વડોદરામાં વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. આ દરમિયાન રાહુલ ગાંધીએ જણાવ્યુ હતું કે કેન્દ્રની મોદી સરકારનું ધ્યાન યુવકોને નોકરી આપવા પર નહીં પરંતુ પોતાની પ્રસિદ્ધિ પર રહેલુ છે.
વડોદરામાં વિદ્યાર્થીઓ સાથે વાત કરતાં રાહુલે કહ્યું હતું કે મોદી સરકાર જે સેલ્ફી લઈ રહી છે તે પણ મેડ ઈન ચાઈના સેલ્ફી છે. અમે ઇચ્છીએ છીએ કે ચીનના લોકો મેડ ઈન્ડિયાવાળી સેલ્ફી લે. રાહુલે જણાવ્યુ હતું કે જો અમે સત્તામાં આવીશું તો અમારુ ધ્યાન વિદ્યાર્થીઓના અભ્યાસ અને યુવકોને નોકરી આપવા પર કેન્દ્રીત હશે.
રાહુલે જણાવ્યુ હતું કે લોકોની સમસ્યા જાણવા માટે લોકો સાથે સંવાદ કરવો જરુરી છે. પરંતુ વર્તમાન સરકાર માત્ર એકતરફી સંવાદ કરી રહી છે. તે પોતાના મનની વાત લોકોને તો જણાવે છે પરંતુ લોકોના મનની વાત સાંભળવા તૈયાર નથી. રાહુલે સંઘ પર નિશાન સાધતા જણાવ્યુ હતું કે, સંઘ મહિલા સમાનતાના સિદ્ધાંતને સ્વીકારતો નથી એટલે જ તો સંઘમાં એકપણ મહિલા સભ્ય નથી.
રાહુલે આજે સંકલ્પ ભૂમિ જઈને ભીમરાવ આંબેડકરને શ્રદ્ધાંજલિ પણ પાઠવી હતી. આ ઉપરાંત રાહુલ ગાંધીએ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ સ્થળની મુલાકાત લઈને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. રાહુલે ખેડામાં એક સભા દરમિયાન જણાવ્યુ હતું કે, કોંગ્રેસ સરકાર લોકોની વાત સાંભળશે કારણકે લોકોની વાત સાંભળ્યા વિના વિકાસ થઈ શક્તો નથી. રાહુલે જણાવ્યુ હતું કે આજે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે અને ઉદ્યોગપતિઓ ખેડૂતોની જમીન છીનવી રહ્યા છે. દેશમાં રોજ માત્ર ૪૫૦ લોકોને જ રોજગારી મળે છે, જેની સામે રોજ ૨૦ લાખ લોકો જોબ માર્કેટમાં આવે છે.