રાજકોટ જિલ્લાના જેતપુરના ડાઈંગ અને પ્રિન્ટિંગ ઉદ્યોગના એકમો દ્વારા ભાદર નદીમાં ગંદુ અને પ્રદુષિત પાણી ઠાલવવામાં આવે છે જેના વિરોધમાં સ્થાનિક MLA લલિત વસોયાએ તા. 11 ના રોજ જળસમાધી લેવાની જાહેરાત કરી છે. જેના અંતર્ગત યોજાનાર મહાસભામાં સૌરાષ્ટ્રના એક ડઝન ધારાસભ્યો ઉપરાંત ‘પાસ’ના કન્વીનર અને યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલ સહિતના આગેવાનો જોડાશે.
રાજકોટ જિલ્લાના જેતપુરના ડાઇંગ-પ્રિન્ટિંગના એકમો દ્વારા લોકમાતા એવી ભાદર નદીમાં કેમિકલયુકત પાણી ઠાલવવામાં આવે છે. જેના કારણે સમગ્ર નદી અને ડેમના પાણી દૂષિત થતાં હોવાથી આ મામલે એક જનપ્રતિનિધિ તરીકે રણશિંગુ ફૂંકનાર ધારાસભ્ય (MLA) લલિત વસોયા દ્વારા તા.11-8-2018ને શનિવારે જળસમાધિ લેવાની ચીમકી ઉચ્ચારી હતી. ધારાસભ્યની ચીમકી હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા દોષિતો અને જવાબદારો સામે ન્યાયિક પગલાં ભરવામાં આવ્યા નથી. જેના કારણે તા.11-8ને શનિવારે સવારે 10 કલાકે ભૂખી ગામ ખાતે એક મહાસભા અને જળ સમાધિનો કાર્યક્રમ યોજાશે. જેમાં સૌરાષ્ટ્ર–ગુજરાતના 12 જેટલાં ધારાસભ્યો અને ‘પાસ’ના નેતા હાર્દિક પટેલ ઉપસ્થિત રહેશે.
ધારાસભ્ય લલિત વસોયાના જળસમાધીના કાર્યક્રમમાં લલિત વસોયા ઉપરાંત તેમને સમર્થન આપવા માટે અન્ય ધારાસભ્યોમાં લલિત કગથરા, પરસોતમભાઈ સાબડિયા, હર્ષદ રિબડિયા, બ્રિજેશ મેરજા, ચિરાગ કાલરિયા, પ્રવીણ મૂછડિયા, જે.વી. કાકડિયા, પ્રતાપ દૂધાત, ભીખાભાઈ જોશી, બાબુભાઈ વાજા તેમજ સૌરાષ્ટ્ર-ગુજરાતના કોંગ્રેસી આગેવાનો, વિવિધ રાજકીય-સામાજિક સંસ્થાના અગ્રણીઓ, ટેકેદારો, સમર્થકો અને દૂષિત પાણીથી પીડિતા 30 ગામોના ગ્રામજનો ભાદર બચાવો અભિયાનમાં જોડાશે.
તા.11મી ઓગસ્ટના રોજ ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા દ્વારા ધોરાજી તાલુકાના ભૂખી ગામે જળસમાધી અને ‘ભાદર બચાવો’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અંતર્ગત આ જળસમાધી અને મહાસભાના કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડે તેવી સંભાવનાને ધ્યાને લઈ પોલીસતંત્ર અને સરકારનો ઈન્ટેલિજન્સ વિભાગ સાબદો થઈ ગયો છે.