જેતપુરના પેઢલાના મગફળી કાંડમાં ગત રોજ પોલીસે પકડેલ પાંચ આરોપીઓને તેમજ અગાઉ પકડેલા ત્રણ આરોપીના પાંચ દિવસના રિમાન્ડ પૂરા થતાં તમામ આઠેય આરોપીને જેતપુર કોર્ટમાં રજૂ કર્યા હતા. જેમાં પોલીસે પાંચ આરોપીના રિમાન્ડ માંગતા કોર્ટે પાંચેય આરોપીઓના રિમાન્ડ નામંજૂર કરતા આઠેય આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા હતા. બીજી તરફ કેશોદના મિલ માલિક અને જેતપુરના વેપારીની ધરપકડ કરવામાં આવી છે.
પેઢલા મગફળી કાંડમાં પોલીસે અગાઉ પકડેલા 22 આરોપીઆે બાદ ગતરોજ બીજા પાંચ આરોપીઓ માનસિંગ પોપટભાઈ લાખાણી, ગીગનભાઇ મેરામભાઈ ચુડાસમા, દેવદાન મંગાભાઇ જેઠવા, હમીરભાઇ બાવાભાઈ જેઠવા અને નીતિન બાબુભાઈ ભટ્ટીની ધરપકડ કરી હતી. જેમાં પોલીસે પડધરી પંથકમાંથી બારદાન પણ જપ્ત કર્યાની જાહેરાત કરી પાંચ આરોપીઓની રાજકોટ માર્કેટ યાર્ડમાં ભેદી સંજોગોમાં આગ લાગેલ હતી, તે આગની અને પેઢલાના બનાવની એકસુત્રતા તો નથીને, તે તપાસવા માટે આરોપીઓને જેતપુર કોર્ટમાં રજૂ કરી પોલીસે પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરતા કોર્ટે પાંચેય આરોપીઓના રિમાન્ડ નામંજૂર કરી જેલ હવાલે કર્યા હતા.
જયારે પાંચ દિવસ અગાઉ પકડેલા રામસીભાઈ ગોવિંદભાઈ ચુડાસમા, જાદવભાઈ રામભાઇ પીઠીયા અને ખુમાણ જીણાભાઈ જિંજીયાને કોર્ટે આપેલ પાંચ દિવસના રિમાન્ડ આજે પૂરા થતાં પોલીસને આ ત્રણ આરોપીના વધુ રિમાન્ડ ની જરુર ન હોય જેથી કોર્ટે તેઓને પણ જેલ હવાલે કર્યા હતા.
સત્યાવીસ આરોપીઓને ઝડપ્યા બાદ જેતપુર તાલુકા પોલીસે વધુ બે વ્યક્તિની ધરપકડ કરી હતી. જેમાં કેશોદના મેસવાણ ગામના ક્રાંતિ ઓઇલ મિલના માલિક રાજેશ ગોવિંદ વડાલીયા (કેશોદ) અને જેતપુર માર્કેટિંગ યાર્ડમાં અલંકાર ટ્રેડર્સ નામની પેઢી ધરાવતા વિશાલ શાંતિલાલ સખરેલીયા (રહે જેતપુર) નામના બે આરોપીની ધરપકડ કરતા કુલ 29 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે.