ગુજરાત વિધાનસભાની ચુંટણીને હાલ ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ ગુજરાતનો ગઢ સાચવવા માટે એડી ચોટીનું જોર લગાડવામાં આવી રહ્યું છે. ત્યારે આ ચુંટણી પ્રચારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જંગમાં ઝંપલાવ્યું છે.
પીએમ મોદી એ ગત ૨૯ નવેમ્બરના રોજ મોરબી ખાતે એક જાહેરસભાને સંબોધ્યા બાદ સભામાં જનમેદની એકઠી કરવા અંગે સોશીયલ મીડિયામાં મેસેજ વાયરલ થયા છે. સોશીયલ મીડિયામાં વાયરલ થયેલા મેસેજમાં “સરકારી તંત્રનો દુર ઉપયોગ કરી શિક્ષકો અને ખાનગી કંપનીના નોકરિયાત લોકોને સભામાં દબાણ પૂર્વક લાવવામાં આવ્યા હોવાના આક્ષેપ થયા છે”.
વાઈરલ થયેલા મેસેજમાં, મોરબીની દરેક સિરામિક ફેક્ટરી દીઠ ૨૫ લોકોને લાવવા તેમજ અડધો દિવસ કંપનીનું પેકિંગ અને લોડીંગ કામ બંધ રાખવા માટે દબાણ કરાયા હોવાની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે.
જયારે બીજી બાજુ વડોદરામાં પણ ભારતીય જનતા પાર્ટી માટે સરકારી તંત્રનો દુર ઉપયોગ થયો હોવાની માહિતી સામે આવી છે. વારસિયા રીંગ રોડની ગુરુકૂળ વિદ્યાલયમાં ભાજપના નેતા અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શિક્ષણ સમિતિના ચેરમેન મીનાબા પરમારે શિક્ષકોની બેઠક યો હતી અને આ બેઠકમાં તેઓને દબાણપૂર્વક ભાજપના ઉમેદવારની તરફેણમાં વોટ આપવા માટે જણાવવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે. ત્યારબાદ કોંગ્રેસના ઉમેદવાર અનિલ પરમારે આ ગેરરીતિ અંતર્ગત ચુંટણી પંચમા ફરિયાદ કરી હતી.