અમદાવાદ,
ગુજરાતમાં ચૂંટણીઓ નજીક છે ત્યારે પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા નેતાઓ અને ભાજપ વચ્ચે જાણે યુધ્ધ ફાટી નીકળ્યું છે. પાટીદાર નેતા નીખિલ સવાણીએ આજે પત્રકાર પરિષદ યોજીને ભાજપ પર સનસનાટીભર્યા આરોપ લગાવતા કહ્યું હતું કે ભાજપ મારી હત્યા કરાવી શકે છે.
ઉલ્લેખનીય છે કે સુરતના નીખિલ સવાણી અગાઉ પાસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયા હતા પરંતુ એ પછી તેમણે ભાજપ છોડી દીધું હતું.
સુરત સ્થિત નીખિલ સવાણીએ કહ્યું કે રોડ અકસ્માતમાં મને મારી નાંખવાની ધમકીઓ અપાય છે. આ ધમકીઓને કારણે હું અને મારો પરિવાર ભયમાં જીવીએ છીએ. જો મને કંઇ પણ થશે તો તેના માટે ભાજપ સરકાર જવાબદાર છે.
નીખિલ સવાણીએ કહ્યું હતું કે સુરતના બિલ્ડર મુકેશ પટેલ મને ફોન પર ધમકીઓ આપે છે. જનરલ ડાયરના અંગત મુકેશ પટેલે ફોન પર મને ધમકી આપેલી બાદમાં થોડા સમય પછી તેમને મને જણાવ્યું કે બીજેપી સાથે છેડો ફાડી રહ્યો છે ત્યારે તું પાછો બીજેપીમાં જોડાઈ જજે, શાનમાં સમજી જજે. આ ધમકીઓને કારણે હું સુરત રહી નથી શકતો અને અમદાવાદ રહેવા આવ્યો છું.
નીખિલ સવાણીએ એમ પણ કહ્યું કે મારી પણ હાર્દિક જેવી સીડી બનાવી હોવાની ધમકીઓ આપીને મને બ્લેકમેઇલ કરવામાં આવે છે. મને એમ પણ કહેવામાં આવે છે કે જો મેં ભાજપ વિરૂધ્ધ પ્રચાર કર્યો તો મારી સીડી જાહેર કરવામાં આવશે. મારા ફેસબુક પેઇજ પર પણ અશ્લીલ મેસેજ મોકલીને મને હેરાન કરવામાં આવે છે.