પોરબંદર,
પોરબંદરમાં માનસિક રીતે અસ્થિર પુત્રે માત્ર ૨૦ રૂપિયા માટે સગી જનેતાને મોતને ઘાટ ઉતારી દેતા ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. પોરબંદરના ખાટકી વાડ વિસ્તારમાં મોડી રાત્રીના આ ઘટના બની હતી. જો કે માનસિક રીતે અસ્થિર યુવકની વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને પોલીસે તેની અટકાયત કરી છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે પોરબંદરના ખાટકીવાડ વિસ્તારમાં રહેતા ખતીજાબેન અલી મહંમદ રુજા નામના વૃદ્ધાની તેના જ પુત્ર મુસ્તાકે હત્યા કરી નાખતા ભારે ચર્ચા જાગી હતી.
ખતીજાબેન અને તેનો પુત્ર મુસ્તાક બંનેની માનસિક સ્થિતિ ખરાબ હતી. તેઓ વચ્ચે અવારનવાર સામાન્ય બાબતે ઝગડાઓ થતા હતા. અંતે આ ઝગડો લોહીયાળ બન્યો હતો. મંગળવારની રાત્રે મુસ્તાકે તેની માતા ખતીજાબેન પાસે રૂપિયા ૨૦ની માંગણી કરી હતી. ખતીજાબેને પૈસા આપવાની ના પાડી હતી, જેથી માનસિક રીતે અસ્થિર મુસ્તાક ઉશ્કેરાઈ ગયો હતો અને માતાનું માથું દીવાલ અને સેટીમાં પછાડીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.
આ ઘટનાની જાણ થતા આડોશ-પાડોશના લોકો દોડી આવ્યા હતા અને આ અંગેની જાણ કીર્તીમંદિર પોલીસને કરતા તે પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને લોહી-લુહાણ હાલતમાં રહેલા ખતીજાબેનને સારવાર માટે સરકારી હોસ્પીટલમાં ખસેડ્યા હતા. પરંતુ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા..