કેવડિયા,
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ શનિવારે કેવડિયા સ્થિત દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવવાના છે. લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે તેમને આદરાંજલી પાઠવવા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં વોલ ઓફ યુનિટી નજીક આયોજિત પ્રાર્થના સભામાં રાષ્ટ્રપતિ ઉપસ્થિત રહેશે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના કાર્યક્રમ મુજબ તેઓ શનિવાર સવારે ૧૦.૩૦ વાગ્યે કેવડિયા પહોંચશે અને વેલી ઓફ ફ્લાવર જઇને સરદાર સાહેબની સ્મૃતિમાં વૃક્ષારોપણ કરશે. આ ઉપરાંત વિશ્વની વિરાટતમ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના છે.
સાથે સાથે તેઓ સરદાર સાહેબના જીવનને પ્રસ્તુત કરતા મ્યુઝિયમ અને પ્રદર્શની નિહાળી ૧૮૨ મીટર ઊંચી પ્રતિમા ની ૧૩૨ મીટર ઊંચાઈએ આવેલી વ્યૂઇંગ ગેલેરી પર જઇને સરદાર સરોવર બંધ સહિત કેવડિયાનો આહલાદક નજારો માણશે.
રેલવે સ્ટેશનનો શિલાન્યાસ કરશે રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દેશભરના લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે રેલ્વે માર્ગે પણ આવી શકે તે હેતુસર ગુજરાત સરકાર અને પશ્ચિમ રેલવે દ્વારા કેવડિયામાં અંદાજે ૨૦ કરોડના ખર્ચેં નિર્માણ થનારા અત્યાધુનિક રેલવે સ્ટેશનનો શિલાન્યાસ કરશે અને જનસભાને સંબોધન કરશે.
આ પ્રસંગે રાજ્યપાલ ઓ પી કોહલી, મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ કેન્દ્રીય રેલ મંત્રી પીયૂષ ગોયલ ખાસ ઉપસ્થિત રહેશે.