નવી દિલ્હી,
૨૦૧૯માં યોજાનારી લોકસભા ચૂંટણી અને આગામી વિધાનસભાની ચૂંટણીઓને લઇ કોંગ્રેસ દ્વારા પાર્ટીના આગેવાનોમાં ઘણા ફેરફાર કરવામાં આવી રહ્યા છે, ત્યારે ગુરુવારે કોંગ્રેસ દ્વારા વધુ એક ફેરફાર કરવામાં આવ્યો છે.
કોંગ્રેસ દ્વારા ગુજરાતના ઠાકોર નેતા અને રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની કોંગ્રેસના સચિવ તરીકે વરણી કરવામાં આવી છે. સાથે સાથે તેઓની બિહાર કોંગ્રેસના કો-ઇન્ચાર્જ તરીકેની પણ જવાબદારી સોપવામાં આવી છે.
કોંગ્રેસના મહાસચિવ અશોક ગેહલોત દ્વારા જાહેર યાદીમાં ગુજરાતના રાધનપુરના MLA અલ્પેશ ઠાકોરની સાથે પાર્ટીમાં અન્ય સાત સચિવની પણ નિયુક્તિ કરવામાં આવી છે.
નવા સચિવના નામ :
૧. શકીલ અહેમદ : જમ્મુ-કાશ્મીર
૨. રાજેશ ધમાની : ઉત્તરાખંડ
૩. બી પી સિંહ : પશ્ચિમ બંગાળ
૪. મોહમ્મદ જાવેદ : પશ્ચિમ બંગાળ
૫. શરત રાઉત : પશ્ચિમ બંગાળ
૬. અલ્પેશ ઠાકોર : બિહાર
૭. CVC રેડ્ડી : મહારાષ્ટ્ર
૮. બી એમ સંદીપ : મહારાષ્ટ્ર
આ પહેલા રાહુલ ગાંધીના નેતૃત્વવાળી કોંગ્રેસ દ્વારા અહેમદ પટેલની પાર્ટીના નવા ખજાનચી તરીકે વરણી કરવામાં આવી છે. છેલ્લા કેટલાક વર્ષોથી પાર્ટીનું આ પદ વરિષ્ટ નેતા મોતીલાલ વોરા સંભાળતા હતા, ત્યારે હવે આ પદ પાર્ટી દ્વારા અહેમદ પટેલને સોપવામાં આવ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે, મોતીલાલ વોરા પાસેથી આ પદ તેઓની વધતી ઉંમરના કારણે પાછું લેવામાં આવ્યું છે.
આ ઉપરાંત કોંગ્રેસ દ્વારા આનંદ શર્માની પાર્ટીના ફોરેન (વિદેશ) સેલના ચેરમેન તરીકે નિયુક્તિ કરાઈ છે.
મહત્વનું છે કે, રાહુલ ગાંધીના કોંગ્રેસના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ પાર્ટીમાં ટોપ લેવલથી લઇ બુથ લેવલ સુધી અનેક ફેરફાર કરવામાં આવી રહ્યા છે.
૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધી દ્વારા અહેમદ પટેલની કરવામાં આવેલી વરણી અંગે માનવામાં આવી રહ્યું છે કે, પાર્ટીના અધ્યક્ષ વરિષ્ટ નેતાઓ અને યુવાન નેતાઓ વચ્ચે સંતુલન જાળવવાનો છે.
આ પહેલા ચાલુ વર્ષના જુલાઈ મહિનામાં રાહુલ ગાંધીએ કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ને હાઈએસ્ટ નિર્ણય લેવા માટેની સંસ્થા જણાવી હતી.
કોંગ્રેસ પાર્ટીની નવી વર્કિંગ કમિટીમાં એ કે એટોર્ની, અહેમદ પટેલ, અંબિકા સોની, મોતીલાલ વોરા, ગુલામ નબી આઝાદ, મલ્લિકાર્જુન ખડગે, આંનદ શર્મા અને કુમારી સીલ્જા જેવા અનેક દિગ્ગજ નેતાઓ છે.