રાજકોટ,
સૌરાષ્ટ્રના માર્કેટીંગ યાર્ડમાં આજે લાભપાંચમે માર્કેટયાર્ડમાં હરાજી શરૂ થઈ ગઈ છે. પ્રથમ દિવસે જ મગફળીની મબલખ આવક મળી રહી છે. ખેડૂતોની મગફળીના ભાવ નીચા મળતા હોવાની રાવ છે, 730 થી લઈ 950 રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા.ખેડૂતોનું કહેવું છે કે, ટેકાના ભાવ કરતા યાર્ડમાં ઓછા ભાવે વેચાઈ રહી છે મગફળી.
તમને જણાવી દઈએ કે, ખેડૂતોને ભાવાંતર યોજનાનો લાભ આપવાની માંગણી સાથે સતત 11 દિવસથી સૌરાષ્ટ્રના મોટાભાગના માર્કેટયાર્ડોમાં કૃષિ જણસોની લે-વેચ બંધ રહેતા કરોડો રૂપિયાનું ટર્નઓવર અટકી ગયું હતું.
31 ઓક્ટોબર પૂર્ણ થતાં સૌરાષ્ટ્ર એપીએમસીના વેપારી એસોસિએશન દ્વારા તમામ માર્કેટ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
વેપારીઓએ જ્યાં સુધી ભાવાંતર યોજના લાગુ નહીં કરાય ત્યાં સુધી અચોક્કસ મુદ્દતની હડતાળની જાહેરાત કરી સરકારને 6 દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું, પરંતુ સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં ન આવતા વેપારીઓએ લાભ પાંચમ બાદ પણ હડતાળ ચાલુ રાખવાની જાહેરાત કરી હતી.
કેન્દ્ર સરકારે ખેડુતોના હિતને ધ્યાનમાં લઇ રાજય સરકારને મગફળીની ખરીદી માટે ત્રણ પ્રપોઝલ આપી હતી. જેમાં ભાવાંતર યોજના, ટેકાના ભાવે અને પ્રાઈવેટ એજન્સી દ્વારા પરંતુ રાજય સરકારે 1001 ટેકાનો ભાવ જાહેર કરી 122 સેન્ટરો ઉપરથી લાભ પાંચમથી ખરીદી ચાલુ કરવાનો નિર્ણય લીધો હતો.