પાસ નેતા હાર્દિક પટેલના ઉપવાસના 15 દિવસ પછી સરકારમાંથી કોઇએ પણ ઉપવાસી છાવણીની મુલાકાત લીધી નહીં કે કોઇ પ્રતિભાવ પણ આપ્યો નહીં અને પોતાને શારીરિક કારણોસર હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું.
હાર્દિકની તબિયત દિન પ્રતિદિન બગડી રહી છે. ત્યારે હાર્દિકના સમર્થન માટે પાટીદારો હવે રોડ પર ઉતરી આવ્યા છે. પાટીદારો અને ખેડૂતો આવેદનપત્ર આપવા ઉપરાંત ઉપવાસ સહિત વિવિધ કાર્યક્રમોથી હાર્દિકને સમર્થન કરી રહ્યા છે.
ત્યારે પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના અનેક ગામોમાં તેના ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે અને પાટીદાર સમાજના ભાઈઓ અને મહિલાઓ પણ હાર્દિકના સમર્થનમાં બહાર આવ્યા છે.
ત્યારે સિદ્ધપુર તાલુકાના ઠાકરાસન ગામે મહિલાઓએ સરકારનો હુરિયો બોલાવી છાજીયા લીધા હતા અને હાર્દિક પટેલના લાંબા આયુષ્ય માટે માતાજીના મંદિરે પ્રાર્થના કરી હતી.
પાટણ જિલ્લાનાં ગામડાઓમાં હાર્દીક પટેલને ભરપૂર સમર્થન મળી રહ્યું છે. હાર્દિક પટેલના ઉપવાસને 15 દિવસ થવા છતાંય સરકાર કોઈ પ્રત્યુત્તર ના આપતા પાટીદારોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
ચાણસ્મા તાલુકાનાં જશલપુર ગામના 21 પાટીદાર યુવાનોએ સામુહિક મુંડન કરાવ્યું હતું. પાટીદાર યુવાનો દ્વારા ભાજપ સરકાર વિરોધમાં સુત્રોચાર કરી આક્રોશ વ્યક્ત કરાયો હતો.
મહેસાણાના ગોઝારીયામાં હાર્દિક પટેલના સમર્થનમાં બંધનું એલાન કરાયુ. ગોઝારીયાના બજારમાં દુકાનો બંધ જોવા મળી. પાટીદારો દ્વારા સ્વૈચ્છિક રીતે બંધ પાડવામાં આવ્યો.
જો કે વિસનગર અને અમદાવાદ હાઇવે ગોઝારીયા ખાતે વાહન વ્યવહાર યથાવત રખાયો છે. કોઈ પણ પરિવહન સેવાને અટકાવવામાં નથી આવી. શાંતિ પૂર્ણ રીતે હાલમાં બંધ પડાયો છે.