રાજકોટ
રક્ષાબંધન બાદ હવે સાતમ-આઠમનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા અગમચેતીના ભાગરૂપે હરવાફરવાની પાણીવાળી જગ્યાઓ પર સેલ્ફી લેવા પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે.
રાજકોટ શહેરમાં તહેવારોની રજાઓમાં મોટી સંખ્યામાં લોકો આજી ડેમ, ન્યારી અને અટલ સરોવર ખાતે ઊમટી પડતા હોય છે. ત્યારે યુવાનો સહિતના શહેરીજનો સેલ્ફી લેવા જતા કોઇ અકસ્માતનો ભોગ ન બને તે માટે સેલ્ફી લેવા પર પ્રતિબંધ મૂકવા અને પૂરતો બંદોબસ્ત રાખવા મનપાના અગ્નિશમન સમિતિના ચેરમેને સૂચના આપી છે.
ત્યારે આ મામલે મંતવ્ય સાથેની વાતચીતમાં મ્યુનિસિપલ કમિશ્નર બંચ્છાનિધી પાનીએ જણાવ્યું હતુ કે, ભૂતકાળમાં તહેવારોમાં આજી ડેમ અને ન્યારી ડેમમાં સેલ્ફી લેવા જતા અકસ્માતની દુ:ખદ ઘટનાઓ બની હતી.
જેના પગલે આજી અને ન્યારી ડેમ ખાતે સેલ્ફી લેવા પર પ્રતિબંધ મૂકવાની સૂચના આપવામા આવી છે. આ ઉપરાંત રેસકોર્સ-2 ખાતે બનેલા અટલ સરોવરમાં પણ પાણી ભરાયું હોવાથી ત્યાં પણ સેલ્ફી લેવા પર પ્રતિબંધ મૂકવા ફાયરબ્રિગ્રેડ શાખા તથા સંબંધિત શાખાને સૂચના આપવામાં આવી છે.