સાબરકાંઠા,
સાબરકાંઠાના વિજયનગર તાલુકાના આંતરસુબા ગામ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. ટ્રક અને જીપ વચ્ચે થયેલા આ અકસ્માતમાં ૭ લોકોના કમકમાટી મોત નિપજ્યા છે તેમજ ૨૦થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. આ ઘાયલ મુસાફરોને ખેડબ્રહ્માની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ બનાવ વિજયનગર તાલુકાના આંતરસુબા ગામ પાસે આવેલી બી એડ કોલેજ પાસે બન્યો હતો. જેમાં રેતી ભરવા માટે જઈ રહેલી ટ્રક સાથે જીપ ધડાકાભેર અથડાઈ હતી અને આ ગમખ્વાર અક્સ્માત સર્જાયો હતો. આ જીપમાં અંદાજે ૨૭ લોકો સવાર હતા.
અક્સ્માતમાં મોતને ભેટનારા મોટા ભાગના લોકો વિજયનગર તાલુકાના નવાપગા ગામના ખેતમજૂરો હતા અને તેઓ સોમવાર સવારે બાજુના ગામમાં બટાકા કાઢવાનું કામ કરવા જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત બન્યો હતો. બીજી બાજુ આ ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. ત્યારબાદ આ બનાવ અંગેની જાણ પોલીસને કરાતા તેઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને વધુ તપાસ હાથ ધરી હતી. બીજી બાજુ આ ગમખ્વાર અકસ્માતમાં મોતનો આંકડો હજુ પણ વધે તેવી શક્યતા સેવાઈ રહી છે.