રાજકોટથી ચારધામની યાત્રાએ જવા નીકળેલા યાત્રિકોની બસ ઉત્તરાખંડના ભિરવાડીથી 10 કિમિ દૂર 60 ફુટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં રાજકોટના 8 સહીત કુલ 10 લોકોના મોત થયા હતા.
એરફોર્સના વિમાન દ્વારા ગઈકાલે મૃતદેહોને રાજકોટ ખાતે લાવવામાં આવ્યા હતા. તેમાંથી એક વ્યક્તિના ગઈકાલે જ અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતા. જયારે આજે એકસાથે 7 અર્થી ઉઠતા હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા.
જણાવી દઈએ કે, અંતિમ યાત્રામાં સીએમ વિજય રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણી અને શહેરના મેયર બીનાબેન આચાર્ય પણ સ્મશાન ખાતે પહોંચ્યા હતા. તેમજ પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.
રાજકોટ શહેરના રામનાથપરા અંતિમધામ ખાતે તમામ મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. એકસાથે 8 મોત નિપજતા કડિયા સમાજ પર આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.