ગીરના જંગલમાં 23 જેટલા સિંહોના અચાનક મોત નિપજવાના મામલે, બુધવારે હાઇકોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. જેમાં રાજ્ય સરકાર દ્વારા સિંહોના મોત અંગે વિવિધ અવલોકનો રજુ કરવામાં આવ્યા હતા.
રાજ્ય સરકારે હાઇકોર્ટમાં જણાવ્યું કે, ખુલ્લા ખેતરોમાં ખેડૂતો દ્વારા કરંટ લગાવવાના કારણે તેમજ ખુલ્લા કુવામાં પડી જવાના કારણે સિંહો ના મોત થતા હોય છે.
છેલ્લા કેટલાક સમયથી સિંહોના ટપોટપ મોત માટે વાયરસ જવાબદાર હોવાની રજૂઆત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી. રાજ્ય સરકારે આગળ જણાવ્યું કે, અમરેલી પાસેના 3000 કિમિ વિસ્તારમાં 600 થી વધારે સિંહો વસવાટ કરે છે. 550 જેટલા ફોરેસ્ટ અધિકારીઓની 140 જેટલી ટીમોને તપાસ કામે લગાડવામાં આવી છે.
સરકારે જણાવ્યું કે, હાલ 9 જેટલા સિંહો બીમાર હોવાનું જાણવા મળેલ છે. જેમાંથી 5 સિંહોને જસદણ ખાતે આવેલા રેસ્ક્યુ સેન્ટરમાં લઇ જવામાં આવ્યા છે. તેમજ જે સિંહો ના મોત થયા છે, એમના પોસ્ટમોર્ટમ રિપોર્ટની તપાસ પુણે તેમજ જૂનાગઢ ખાતેના ઇન્સ્ટિટ્યૂટમાં ચાલી રહી છે.
હાઇકોર્ટે રાજ્ય સરકારને વધુ તપાસનો રિપોર્ટ રજુ કરવા માટે સોમવાર સુધીનો સમય આપ્યો છે. વધુ સુનાવણી સોમવારે હાથ ધરવામાં આવશે.
જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટે પણ સિંહોના મોત મામલે કેન્દ્ર તેમજ રાજ્ય સરકારનો ખુલાસો માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે સરકારોને ટકોર કરતા જણાવ્યું કે, આ અત્યંત ગંભીર બાબત છે અને સરકારે સિંહોના મોતનું કારણ તાત્કાલિક ધોરણે જાણવું જોઈએ, એશિયાટિક પ્રજાતિને બચાવવી અત્યંત જરૂરી છે.