સુરત,
જમ્મુ- કાશ્મીરના કઠૂઆ અને ઉત્તરપ્રદેશ ઉન્નાવની ગેંગરેપ અને હત્યાની દર્દનાક ઘટનાની શાહી હજી ભુંસાઈ ન હતી. ત્યારે રવિવારના રોજ સુરતના પાંડેસરા વિસ્તારમાં બનેલી દૂષ્કર્મની ઘટનાઓએ દેશભરમાં ચકચાર મચાવી છે. આ દુષ્કર્મની ચકચારી ઘટનાને લઇ લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. દેશભરમાં લોકો દ્વારા આ ઘટનાના આરોપીઓને સજા ફટકારવામાં માટે માંગ કરવામાં આવી છે ત્યારે હવે કિન્નરો પણ સરકારની સામે આવ્યા છે.
સુરતમાં આવેલા અઠવા ગેટ ખાતે કિન્નરો ભેગા થયા હતા અને કેન્દ્ર સરકાર સામે ભારે સુત્રોચ્ચાર કરી દેશ ભરમાં બનેલી ધટનાઓનો વિરોધ કર્યો હતો. અઠવા વિસ્તારમાં કિન્નરો દ્વારા જસ્ટિસ ફોર આસિફા તેમજ આરોપીને કડક સજા થાય તેવી માગ પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત તેઓએ આ હચમચાવી નાખનાર ઘટનાના આરોપીઓને ફાંસી આપવાની પણ માંગ કરી હતી.
મહત્વનું છે કે સુરતના પાંડેસરા વિસ્તારમાં મળેલી બાળકીની દુષકર્મ અને હત્યા મામલે ૧૨ દિવસ વીતી ગયા બાદ પણ પોલીસના હાથે કોઈ કડી લાગી નથી. સુરત પોલીસે બાળકીની ઓળખ થાય તે માટે આકાશ પાતાળ એક કરી રહી છે પરંતુ ત્યારબાદ પણ પોલીસના હાથ ખાલી છે ત્યારે આરોપીઓ કયારે પકડાશે અને હાલ બાળકીની ઓળખ કરવી તે સુરત પોલીસ માટે સૌથી મોટો પડકાર છે.