સુરત: સુરત જિલ્લાના ઓલપાડના સાયણ ગામે ગણેશ વિસર્જન દરમિયાન બે જૂથ વચ્ચે અથડામણની ઘટના બની હતી. જેમાં હુમલાખોરોએ ચપ્પા વડે હુમલો કર્યો હતો, જેના જવાબમાં લોકોએ હુમલાખોરોની કાર સળગાવી દીધી હતી. આ દરમિયાન પોલીસ દ્વારા હુમલાખોરોને પકડીને મામલાને થાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવતા ટોળાએ ડીવાયએસપીની કારના કાચ તોડી નાખ્યા હતા. આ જૂથ અથડામણની ઘટના દરમિયાન ઈજા પામેલા પૈકીની એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે.
ડીવાયએસપીની કારના કાચ તોડ્યા
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ સુરતના ઓલપાડના સાયણ ગામમાં ગણેશ વિસર્જન દરમિયાન એક જૂથ દ્વારા બીજા જૂથના લોકો પર હુમલો કરવાની ઘટના સામી આવી છે. જેના કારણે ગણેશ વિસર્જન દરમિયાન બબાલ સર્જાઈ હતી. ગણેશ વિસર્જન કરવા જઈ રહેલા એક જૂથ ઉપર અન્ય જૂથના કેટલાક સભ્યોએ આવીને ચપ્પા વડે હુમલો કર્યો હતો. જેના કારણે ત્રણથી ચાર વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. આ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
રોષે ભરાયેલાં ટોળાએ હુમલાખોરની કાર સળગાવી
આ ઘટના બાદ રોષે ભરાયેલાં ટોળાએ વળતો પ્રહાર કર્યો હતો અને હુમલાખોરોની કાર સળગાવી હતી. ટોળા દ્વારા હુમલાખોરોની કારને સળગાવી દેવામાં આવતા વાતાવરણ તંગ બની ગયું હતું. માહોલ બગડતા પોલીસ દ્વારા પરિસ્થિતિ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
પોલીસે હુમલાખોરની કરી અટકાયત
પોલીસ દ્વારા આ ઘટનામાં હુમલાખોરોની અટકાયત કરીને પોલીસ મથક લઈ ગઈ હતી. જો કે રોષે ભરાયેલા ટોળાએ હુમલાખોરોને પોલીસ સ્ટેશનમાંથી બહાર કાઢવા માટે પોલીસ સમક્ષ માંગણી કરી હતી. આ દરમિયાનમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન દોડી આવી હતી. આ મહિલાઓએ હુમલાખોરોને પોતાને સોપી દેવા માટેની ઉગ્ર માંગ કરી હતી.
પરંતુ પોલીસ દ્વારા આ માંગણીને ઠુકરાવી દેવામાં આવી હતી. જેના કારણે ઉશ્કેરાયેલા ટોળાએ ડીવાયએસપીની ગાડીના કાચ ફોડીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.
આ ઘટનાના પગલે પોલીસ દ્વારા પકડાયેલા હુમલાખોરો (આરોપીઓ)ને સુરક્ષિત સ્થાને ખસેડવાની ફરજ પડી હતી.