ગુજરાત,
હાલ રાજ્યમાં પાણીની વિકટ તંગી જોવા મળી રહી છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પણ તાજેતરમાં સુકી ભઠ્ઠ બની ગઈ છે.
ઉનાળાની શરૂઆત થતા પાણીની અછત સર્જાય છે. ત્યારે સરદાર સરોવરની જળસપાટીમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. ત્યારે નર્મદા ડેમ પર પાણીની આવક પણ નહિવત થઇ ગઇ છે. ડેમની જળ સપાટી 105.10 મીટર થઇ ગઇ છે. આ નર્મદા નદીને જીવંત રાખવાના પ્રયાસો પણ નિષ્ફળ થઇ રહ્યા છે. મુખ્ય કેનાલમાં 2 હજાર 346 ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે. નર્મદા નદીને જીવંત રાખવાના નિષ્ફળ પ્રયાસોને લીધે સરકાર પણ ચિંતાગ્રસ્ત બની છે.
થોડાક જ સમય પહેલા ભાજપ શાસિત મધ્યપ્રદેશે પાણીના અભાવે તરસ્યા ગુજરાત અને સુકી ભઠ્ઠ બની રહેલી નર્મદાને વધારાનું પાણી આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. મધ્યપ્રદેશ સરકારનું કહેવું છે કે, હાલ રાજ્યમાં પણ દુકાળની સ્તિથી હોવાના કારણે તાજેતરમાં વધારાનું પાણી છોડી શકાય તેમ નથી.
ગત જાન્યુઆરીમાં રાજ્યના નર્મદા વિભાગના એડિ. ચીફ સેક્રેટરી એમ.એસ. ડાગુરે કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયને પત્ર લખીને નદીમાં વધુ પ્રમાણમાં પાણી છોડવામાં આવે એવી અરજી કરી હતી. ત્યાર બાદ ગત મહિનામાં પણ બીજી વાર કેન્દ્ર સરકારને આ અંગે અરજી કરી હતી. જોકે હજુ સુધી આ મામલે કોઈ જ જવાબ આવ્યો નથી. જાન્યુઆરી ૨૦૦૬માં નર્મદા કંટ્રોલ ઓથોરિટી NCA ના એન્વાયર્નમેન્ટ સબ ગ્રુપે નક્કી કર્યું હતું કે ઓછામાં ઓછું ૬૦૦ ક્યુસેક પાણી નર્મદાના નીચાણવાળા ૧૫૭ કિમી લાંબા ડાઉનસ્ટ્રીમમાં છોડવામાં આવશે જેથી નદી અને તેની કુદરતી જીવંતતાને જાળવી શકાય.
જોકે ગુજરાત સરકારનું કહેવું છે કે નદીને જીવંત રાખવી હોય તો ૬૦૦ ક્યુસેક પાણી પૂરતું નથી..નર્મદા ડેમમાં ઘટેલાં પાણીથી ઊભું થયેલું જળસંકટ નિવારવા ૧૭ વર્ષમાં પહેલી વાર સરદાર સરોવરની ઇરિગેશન બાયપાસ ટનલ (આઇબીપીટી)નો ઉપયોગ કરવામાં આવશે. ગુજરાત સરકારે નર્મદા ડેમના ડેડ સ્ટોરેજનું પાણી ઉપયોગમાં લેવા નર્મદા કન્ટ્રૉલ ઑથોરિટીને રજૂઆત કરી હતી, જેને પગલે ઑથોરિટીએ ૩૧ જુલાઈ સુધી ડેડ સ્ટોરેજનાં પાણીનો ઉપયોગ કરવા મંજૂરી આપી હતી.