અમદાવાદ: અમરેલી જિલ્લામાં ગિર બાદ સિંહોની વસ્તી વધુ છે આથી આ વિસ્તારોમાં વસવાટ કરતા સિંહોની સુરક્ષા કરવી એ વન વિભાગ અને સરકાર માટે ઘણી મહત્વની બાબત બની ગઈ છે. તેમાંય સિંહબાળના મોતની ઘટનાઓ દિન-પ્રતિદિન વધી રહી છે. આવા સિંહબાળના મોત મોટાભાગે ખાસ કરી સિંહોની આંતરિક લડાઇમાં (ઈન ફાઈટમાં) થાય છે.
આવી વધુ બે ઘટના અમરેલી જિલ્લામાં સામે આવી છે. જેમાં સાવરકુંડલા અને ધારી તાલુકામાં બનેલી બે ઘટનામાં ત્રણ સિંહબાળના મોત નીપજ્યા છે. આ ઘટનાઓ અંગે વનવિભાગ દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં આવેલા વડાળ બીટમાં ઈનફાઈટના લીધે બે સિંહબાળના મોત નીપજયાની ઘટના સામે આવી છે. જે અંગે સાવરકુંડલા વન વિભાગ દ્વારા સત્તાવાર રીતે જાહેર પણ કરવામાં આવ્યું છે.
વન વિભાગ દ્વારા આ બંને સિંહબાળના મોત બાદ તેમનું પેનલ પી.એમ. કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે. આ અંગેની તપાસ દરમિયાન ઈનફાઈટમાં સિંહબાળના મોત થયાનું ખુલવા પામ્યું છે.
વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ સાવરકુંડલા ઉપરાંત ધારી તાલુકાના પાણીયા રેન્જમાં આવેલા ગોરાળા રાઉન્ડમાં એક દસ માસના સિંહબાળનું પણ ઈનફાઈટમાં મોત નીપજ્યું છે. ધારીના ગિર પૂર્વમાં સિંહના મોતનો સિલસિલો યથાવત છે. આ બનાવ બે દિવસનો હોવા છતાં વન વિભાગ દ્વારા હવે જાહેર કરવામાં આવ્યું છે.
વન વિભાગ દ્વારા સિંહબાળના મોતની વિગતો છૂપાવવાનો પ્રયાસ કરવામાં આવતો હોવાના કારણે સિંહપ્રેમીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે. આમ અમરેલી જિલ્લામાં છેલ્લા 48 કલાકમાં ત્રણ સિંહબાળના ઇન્ફાઇટથી મોત નીપજ્યા છે.