રામ મંદિરના નિર્માણને લઇ જોવા મળતી ગરમી વચ્ચે વિશ્વ હિંદુ પરિષદ (VHP) દ્વારા એક ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે. અયોધ્યામાં આયોજિત કરવામાં આવેલી આ સભામાં અંદાજે ૨ લાખ લોકો પહોચ્યા છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે શનિવારથી જ અયોધ્યા પહોંચી ચુક્યા છે અને રામ મંદિરના નિર્માણને લઈ નિવેદન આપ્યું હતું.
બીજી બાજુ આ ધર્મસભાને સંબોધિત કરતા VHPના આંતરરાષ્ટ્રીય સચિવ ચમ્પ્ત રાયે કહ્યું હતું કે, “રામ મંદિરના નિર્માણ માટે અમારે આ પૂરી જગ્યા જોઈએ છે અને આ જમીનના ભાગલાનો કોઈ પણ ફોર્મુલા મંજૂર કરવામાં આવશે નહી”.
તેઓએ વધુમાં કહ્યું, “સુન્ની વકફ બોર્ડે આ વિવાદિત જમીનની માલિકીનો હક પાછો લઈ લેવો જોઈએ”. સાથે સાથે VHPના આંતરરાષ્ટ્રીય સચિવે ઉમેર્યું હતું કે, વિશ્વ હિંદુ પરિષદ આ જમીન પર નમાજ પઢવા દેશે નહિ:,
અત્રે ઉલ્લેખનીય છે કે, અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા આ વિવાદિત જમીનને ત્રણ ભાગોમાં વંહેચી હતી.
VHPના આંતરરાષ્ટ્રીય મહાસચિવ સુરેન્દ્ર જૈનના જણાવ્યા મુજબ, “રવિવારે થનારી ધર્મસભા પછી RSS અને VHPના પ્રતિનિધિ તમામ દળોના નેતાઓ સાથે મુલાકાત કરવાનું શરુ કરશે અને રામ મંદિરના નિર્માણને લઈ કાયદો લાવવા માટે સમર્થન માંગશે
અયોધ્યામાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે એક એડિશનલ DGP સ્તરના પોલીસ ઓફિસર, એક ડેપ્યુટી IG, ત્રણ સિનીયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ, ૧૦ સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ, ૨૧ ફિલ્ડ ઓફિસર, ૧૬૦ ઇન્સ્પેકટર, ૭૦૦ કોન્સ્ટેબલ, PACની ૪૨ કંપની, RAFની ૫ કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત અયોધ્યામાં ધારા ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે,