અમદાવાદ: મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના દીવડા કોલોનીની Bank of Baroda બ્રાંચના જ બે અધિકારીઓ દ્વારા સરકારી હેડના ખાતામાંથી અંદાજે સાડા સત્તર કરોડની રકમની ઉચાપત કરવામાં આવી હતી. આ મામલે બેંક દ્વારા CBI સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી. આ મામલે સીબીઆઈની ટીમે બેંક ઓફ બરોડાના જોઈન્ટ મેનેજર મનમોહન સિંહ મીણા અને આસિસ્ટન્ટ મેનેજર ભાસ્કર સતીશકુમારની ધરપકડ કરવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના દીવડા કોલોની ખાતે આવેલી બેન્ક ઓફ બરોડા શાખાના ઇન્ટરનલ ઓડિટ દરમિયાન કરોડો રૂપિયાની ઘાલમેલ કરીને ઉચાપત કરવામાં આવતું હોવાનું કૌભાંડ બહાર આવ્યું હતું. જે અંગે ઇન્ટરનલ ઓડિટ કરનારા અધિકારીઓએ મે મહિનાના પ્રારંભમાં બેંકના ગોધરા સ્થિત રિજિયોનલ મેનેજર વિવેક શુક્લાને જાણ કરી હતી. જે અંગે રિજિયોનલ મેનેજર દ્વારા ઓડિટની ચકાસણી કરતા સાડા સત્તર કરોડ રૂપિયાની ઉચાપત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.
આ તપાસમાં બેંક ઓફ બરોડાની આ બ્રાન્ચના બેંક એકાઉન્ટ તેમજ સરકારી હેડના નાણાંની કરાયેલી લેવડ-દેવડમાં ગેરરીતિઓ થઈ હોવાનું સામે આવ્યું હતું. જેના કારણે બેંકના રિજિયોનલ મેનેજર દ્વારા કરાયેલી તપાસમાં આ શંકાસ્પદ લેવડ-દેવડમાં 30 જેટલાં ખાતાઓ તેમજ 19 જેટલા બેંકના લોકરનો સમાવેશ થતો હતો.
આ કૌભાંડમાં બેંકના જ બે અધિકારીઓ જોઈન્ટ મેનેજર મનમોહન સિંહ મીણા અને આસિસ્ટન્ટ મેનેજર ભાસ્કર સતીષકુમારની સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું. આથી તા. 28 મે, ૨૦૧૮ના રોજ રિજિયોનલ મેનેજર દ્વારા તાત્કાલિક અસરથી આ 30 જેટલા બેંક એકાઉન્ટ અને 19 જેટલાં લોકરને સીલ કરી દેવામાં આવ્યા હતા.
આ ઉપરાંત તાકીદની અસરથી જોઈન્ટ મેનેજર મનમોહન સિંહ મીણાને લુણાવાડા અને આસિસ્ટન્ટ મેનેજર ભાસ્કર સતીષકુમારની સંતરામપુર ખાતે બદલી કરી દેવામાં આવી હતી. તેમજ આ બંને સામે કાયદેસરની કાર્યવાહી ધરવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ આ ઉચાપતની રકમ ઘણી મોટી હોવાથી રિજિયોનલ મેનેજર વિવેક શુક્લા દ્વારા આ મામલે જૂન મહિનાના પ્રારંભમાં સીબીઆઈને ફરિયાદ કરવામાં આવી હતી. જે અંગે ગઈ કાલે સીબીઆઈ દ્વારા આ બંને અધિકારીઓની ધરપકડ કરવામાં આવી હતી.
આ મામલે બેંક ઓફ બરોડાના ગોધરા સ્થિત રિજિયોનલ મેનેજર વિવેક શુકલાનો સંપર્ક કરવામાં આવતા તેમણે મંતવ્ય ન્યૂઝને જણાવ્યું હતું કે, આ બંને અધિકારીઓ દ્વારા સાંઠગાંઠ કરીને બેંકના તેમજ સરકારી હેડના કરોડો રૂપિયાની પોતાના તેમજ તેમના સગાં સબંધીઓના ખાતામાં પરસ્પર રીતે લેવડ-દેવડ કરીને અંદાજે રૂ. 17.49 કરોડ જેવી માતબર રકમની ઉચાપત કરી હતી.
આ મામલે બેંક દ્વારા આ બંને અધિકારીઓ સામે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી જેમાં તેમની બદલી કરી દેવામાં આવી હતી તેમજ તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
આ ઉપરાંત આ બંનેની સામે સીબીઆઈમાં ફરિયાદ કરવામાં આવી હતી. જે અંગે સીબીઆઈ દ્વારા અરજીની ચકાસણી કરીને ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. જેના ભાગરૂપે સીબીઆઈએ આ બંને અધિકારીઓની ધરપકડ કરી છે.