કોરોના કાળ અને સંબંધો
સદીઓમાં એક વાર આવતી એવી મહામારી એટલે કોરોના ! ૯૦ ટકા ભારતીયોએ તો ‘quarantine’ , ‘lockdown’ , ‘social distancing’ જેવા શબ્દો પહેલી વાર જાણ્યા હશે. સૂનસાન રસ્તા, બંધ બજારો, શાંત સિનેમાઘરો, ખાલી શાળાઓ અને કોલેજો, આ બધું પણ પહેલી વાર જ જોયું હશે. બીજા દેશોનું તો ખબર નહીં, પણ ભારત જેવા સામાજિક દેશમાં સામાજિક અંતર જાળવવું થોડું અઘરું ન પડે? એને સામાજિક નહીં, શારીરિક અંતર કહેવું જોઈએ, નહીં?
ભારતમાં ભણી ગણીને એક પુત્ર સારી નોકરી અને સારી જીવનશૈલી શોધતો શોધતો વિદેશ સ્થિત થઈ ગયો. શરૂઆતમાં એને માતા પિતાની ખૂબ યાદ આવતી, રોજ બે ત્રણ વાર ફોન ન કરે તો એને ચાલતું નહીં. પછી ધીરે ધીરે નોકરી અને વ્યસ્ત દિનચર્યાને લીધે ફોન ઓછાં થવા લાગ્યાં, ફોન પર વાત કરવાનો સમય પણ કલાકોથી મિનિટોમાં બદલાઈ ગયો. વૃદ્ધ માં રોજ રાહ જોતી કે આજે ફોન આવશે, આજે આરામથી વાત થશે અને એ માં રાહ જોતાં જોતાં જ સૂઈ જતી. જ્યારે પણ વાત થતી ત્યારે માં એને એના પાસે આવી જવાનું અચૂક કહેતી, પણ એ ખર્ચાની વાત કરીને ટાળી દેતો. જ્યારે આખી દુનિયા રોકાઈ ગઈ, એને પોતાના માં બાપને યાદ કરવાનો સમય મળ્યો ત્યારે એની આંખ ભીની થઈ ગઈ અને એને થયું કે ખર્ચાનો વિચાર કર્યા વગર એક વાર માં બાપને મળી આવ્યો હોત તો સારું થાત. પોતાના જ માં બાપને મળવાની ઇચ્છા થવા માટે શું દુનિયાનું રોકાઈ જવું જરૂરી છે?
૫ થી ૯ ની થકવી નાખે એવી નોકરી કરતાં એક પુરુષે એક દિવસ લોકડાઉન દરમ્યાન નવરાશની પળોમાં શું કરવું એ વિચારતા કોઈ જૂના મિત્રને ફોન કરી લીધો. ત્યારે જાણવા મળ્યું કે એ મિત્રના ત્રણ વર્ષ પહેલા લગ્ન થઈ ગયાં છે અને ગયા વર્ષે જ એની પત્ની એ એક સુંદર બાળકીને જન્મ આપ્યો છે. એને એના મિત્રને મળવાની ખૂબ ઇચ્છા થઈ પણ લોકડાઉન ને દોષ આપી એ ઈચ્છાને જતી કરી. જો એણે લોકડાઉનની રાહ ન જોઈ હોત અને થોડાં વર્ષો પહેલાં જ એ મિત્રને સમય કાઢીને ફોન કરી લીધો હોત, તો એ એના લગ્નમાં પણ સમ્મિલિત થઈ શક્યો હોત અને એની દીકરીને પણ મળી શક્યો હોત. નવરા પડવાની રાહ જોવા કરતાં વ્યસ્તતામાં થોડો સમય પોતાનાં મિત્રોને આપીએ તો મિત્રતા સદૈવ જળવાઈ રહે, ખરું ને?
કોરોનાનો ફેલાવ જ્યારે ટોચ પર હતો ત્યારે રોજ સમાચારમાં આવતું કે કયા રાજ્યના કયા શહેરમાં કેટલાં નવા કેસ આવ્યાં. જ્યાં સુધી આપણને કે કોઈ આપણાં ને ન થયું હોય ત્યાં સુધી આપણને ખબર જ ન પડે કે આ બીમારી કેટલી ભયાનક છે. એ દૂર વિદેશ બેઠેલાં દીકરા પર શું વિતી હશે એ જાણીને કે એના પિતા કોરોનાની મારથી બચી ન શક્યાં. ન એ આવી શક્યો, ન એની માંનો સહારો બની શક્યો. આવા જાણે કેટલાય લોકો હશે જે પોતાનાં સગા વ્હાલાઓને છેલ્લી વાર જોઈ પણ ન શક્યાં. કેટલાંય ઘર, કેટલાંય પરિવારો પરિજનોની મોતથી વિરાન થઈ ગયા.
નોકરી ધંધા તો ચાલ્યાં જ કરશે, એક નોકરી છૂટસે તો આજે નહીં તો કાલે બીજી મળી જ જશે, પણ જો કોઈ અતિ પ્રિય વ્યક્તિ છૂટી જશે તો ક્યારેય પાછું નહીં મળે. હવે ફરી કોઈ કોરોના આવીને ફરી જનજીવન વેર વિખેર કરી જાય એ પહેલાં પોતાનાં પ્રિયજનને જણાવી દઈએ કે એ આપણને ખરેખર કેટલા પ્રિય છે. દુનિયા રોકાવાની રાહ જોવા કરતાં સારું કે આપણે આપણી દુનિયામાંથી થોડો સમય આપણાં મિત્રો અને સંબંધીઓ માટે ફાળવી એમના સતત સંપર્કમાં રહીએ જેથી ભવિષ્યમાં કોઈ પણ પરિસ્થિતિમાં એમની સાથે ન હોવાનું દુઃખ ન સહેવું પડે. વ્યક્તિના ગયા પછી એની યાદમાં રડવું એના કરતાં એ હયાત હોય ત્યારે એની સાથે હસી લેવું સારું નહીં?
@ સ્નેહા ધોળકીયા, કટાર લેખક