વલસાડ,
વલસાડ જિલ્લાનાં ઓઝર ગામના ખેડૂતે આત્મવિલોપનની ચીમકી આપી છે. ઓઝર ગામ ખાતે ૨૦ વીઘા જમીન ધરાવતા નીલેશ ઠાકોરની પાછળનાં ભાગે એક પારસીની જમીન આવેલી છે. જે જમીન કાચું લખાણ કરીને નીલેશ ઠાકોરે ખરીદી હતી. પરંતુ ત્યાર બાદ આ પારસીની જમીન વલસાડનાં એક માથાભારે શખ્સે ખરીદી લીધી. આ જમીનમાં રસ્તો નહતો. તેથી જવા આવવાની મુશ્કેલી પડતી હતી.
જમીનમાં રસ્તો બનાવવા માટે નીલેશ ઠાકોરની પરવાનગી લેવી પણ જરૂરી હતી. પરંતુ તેમણે પોતાના ખેતરમાં રસ્તો બનાવવાની ના કહેતા પારસીની જમીન ખરીદનારા માથાભારે શખ્સોએ સરકારી અધિકારીઓની મદદથી નીલેશ ઠાકોરની જમીનમાં બળજબરીથી પ્રવેશી વૃક્ષો કાપ્યા અને રસ્તો બનાવી નાખ્યો. તેવો આરોપ નીલેશ ઠાકોરનો છે અને આ મામલે ન્યાય અપાવવા તેમણે તંત્ર પાસે માગ કરી છે. જો ન્યાય નહીં મળે તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે.