સચિન પીઠવા, સુરેન્દ્રનગર@મંતવ્ય ન્યૂઝ
લીંબડી તાલુકાના પાણશીણા ગામે અવારનવાર વીજ સમસ્યા ઊભી થતી હોય છે. પાણશીણા ગામના યુવાનો લો-વોલ્ટેઝ સહિત વીજ સમસ્યાના ઉકેલ લાવવા લીંબડી પીજીવીસીએલ કચેરીએ દોડી આવ્યા હતા. વીજ સમસ્યા દૂર કરવા મૌખિક રજૂઆત કરી હતી.લીંબડી તાલુકાના 7 હજારથી વધુ લોકોની વસ્તી ધરાવતા પાણશીણા ગામે અવારનવાર વીજ સમસ્યા ઊભી થતી હોવાની વ્યાપક ફરિયાદો ઊઠી રહી હતી.
પાણશીણા પોલીસ મથક પાસેના TCથી માળીફળી સહિતના વિસ્તારોમાં વીજ પુરવઠો પુરો પાડવામાં આવે છે. પરંતુ છેલ્લા ત્રણેક દિવસથી લો-વોલ્ટેઝ, વીજળીનું આવન-જાવન સહિતની સમસ્યા રહેતી હતી. અનેકવાર મૌખિક રજૂઆત કરવા છતાંય વીજ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવતો નહોતો.
પાણશીણા ગામે માળીફળીમાં રહેતા જયદીપસિંહ ઝાલા સહિત 20થી 25 યુવાનો લીંબડી પીજીવીસીએલ કચેરીએ દોડી આવ્યા હતા. લો-વોલ્ટેઝ સહિતના પ્રશ્ન અંગે ફરિયાદ કરી હતી. લીંબડી ગ્રામ્ય PGVCL કચેરીના ડે.ઈજનેર એચ.એમ.સુતરીયાની સુચના મળતાં ગણતરીની કલાકોમાં જ વીજ કર્મીઓએ ટ્રાન્સફોર્મર બદલી માળીફળી સહિતના વિસ્તારની વીજ સમસ્યા દૂર કરી આપી હતી. વીજ સમસ્યાની નિરાકરણ આવી જતાં અરજદાર યુવાનોએ PGVCLનો આભાર વ્યક્ત કર્યો હતો.

