- અન્ય ધંધા રોજગારો ઠપ્પ છે ત્યારે નફરત વાઇરલ કરી લોકો ખિસ્સા ભરી રહ્યા છે.
હિન્દુસ્તાન બદલ રહા હૈ ના નાદ વચ્ચે યુવાનોના સપનાઓ અને જરૂરિયાતો વચ્ચેના ગજગ્રાહમાં સપનાઓનું કતલ કરીને જરૂરિયાતોને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. સપનાઓ જીવવાનું ખમીર જરૂર પૂરું પાડે છે. પરંતુ સપનાઓ પુરા કરવા એક સારી તકની પણ જરૂર હોય છે. જે મોટાભાગે આજે આપણી વચ્ચે ખુબ ઓછી થતી જાય છે. મતલબ કે બાકી બચેલી જરૂરિયાતો સામે સૌથી મોટો પડકાર બે ટંકના ભોજનનો હોય છે. તેથી આજનું યુવાધન સપનાઓને તિલાંજલિ આપી જરૂરિયાતને હવાલે થઇ રહ્યા છે.જેનો ફાયદો અત્યારે પ્રાઇવેટ કંપનીઓ જ લે છે સાવ તેવું પણ નથી.

બાકી આગળ વધુ ચર્ચા કરતા પહેલા, કોરાના કહેરે લોકોને કઈ હદે જરૂરિયાતોમાં પણ કાપ મુકવા મજબુર કર્યા છે તે ચિત્ર જોઈએ તો, 49.4 % લોકોની આવક એપ્રિલ અને મે માં જ બંધ થઇ ગઈ હતી. 36.5 % ની આવક સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં પણ બંધ હતી. જેને પગલે લાચાર લોકોમાંથી 57.6 % લોકોએ શાકભાજી ખાવાનું ઘટાડ્યું. 40.7 % લોકોએ કઠોળ ખાવાનું ઓછું કર્યું, 38 % લોકોએ ઘઉં-ચોખાનો વપરાશ ઘટાડ્યો. તો 22 .8% લોકોને ભૂખ્યા સુવાની નોબત આવી. તો 20.6 % લોકો અનાજને અભાવે ક્યારેક ભૂખ્યા રહ્યા.અને આ સર્વે સ્વૈચ્છીક સંગઠન અન્ન સુરક્ષા અધિકાર અભિયાન દ્વારા દેશના 11 રાજ્યોના સર્વેના તારણોથી બહાર પડાયો છે.

ત્યારે લોકોની હાલાકીનું ચિત્ર વધુ સ્પષ્ટ થાય છે. લોકોની સ્થિતિ બદથી બદતર થતી ચાલી છે. એકતરફ મોંઘવારીનો માર અને બીજી તરફ બેરોજગારીના ચક્કરમાં પીસાતા લોકો કરે તો પણ શું કરે? જ્યાં ધંધા-રોજગારો જ ઠપ્પ પડ્યા છે ત્યાં હાલના તબક્કે વધુ નહી તો પણ 1.03 કરોડ યુવાનો નોકરી તલાશી રહ્યા છે. પરંતુ ટ્રેજેડી તે છે કે, હાલ દેશના વિવિધ રાજ્યોમાં ફક્ત 1.77 લાખ જેટલી જ નોકરીઓ ઉપલબ્ધ છે. જો, કે આ આંકડા તો ફકત નોંધાયેલા લોકોના જ છે. બાકી બેરોજગાર યુવાઓની આખી ફોજ રોજગારીની તલાશમાં સમાધાન સ્વીકારીને પટાવાળાની નોકરી માટે પણ તૈયાર છે. જો, કે સરકારી ખાતામાં પટાવાળાની જગ્યા માટે લાખો લોકો ફોર્મ ભરતા તે જરીપુરાણુ ચિત્ર છે.
આજે તો, પ્રાઈવેટ કંપનીઓને જેમ સરકાર પણ યુવાધનનું દોહન કરે છે. સરકારમાં લગભગ પાછલા 20 વર્ષથી કોન્ટ્રાકટ પદ્ધતિ લાગુ પડી ચુકી છે. ફિક્સ પગાર તે સરકારી નોકરીની નવી વ્યવસ્થા બની ગઈ છે. જે ફિક્સ પગાર કયાક સમયાનુસાર વધતો પણ હોય છે. પરંતુ સ્થાનિક મ્યુ, માં આજેપણ ફાયર બ્રિગેડથી લઈને પટાવાળા, સિક્યોરિટી સ્ટાફ થી ક્લેરિકલ વર્ક માટે પણ યુવાનોને આમ ફિક્સ પગારથી રખાય છે. જેને પગલે હમણાં જ કેટલાય યુવાનોએ અમદાવાદ મ્યુ. નોકરીમાં થી રાજીનામુ આપ્યું હતું. 18000 થી 20000 પગારમાં ઘર ન જ ચાલી શકે. કેમ, કે કાં રોજગારી કા મોંઘવારી. બાકી બંનેને સાથે નીભવવા જતા યુવાનો લગ્નના સપના પણ ના જોઈ શકે તે એક જમીની હકીકત છે.
ત્યારે શું કોઈ શ્રમ સંસ્થાન કે માનવ અધિકાર આયોગ તે જાણે છે કે, પ્રાઇવેટ સંસ્થાઓમાં કેટલી શરતોને આધીન થઈ આ યુવાનોએ કામ કરવું પડે છે. તો મેડિકલ સંસ્થાનનોમાં પણ ઇન્ટરનશીપ કરતા ડોક્ટરોને પણ આ શોષણે નથી છોડ્યા. અને આ કોરોના મહામારી વચ્ચે કલાકોના કલાકો તેમની પાસેથી જોખમી કામો લેવાયા છે. ત્યારે આજના યુવાનો માટે રોજગારી જ સમસ્યા નથી પણ ક્યાં સ્થાને નોકરી કરે છે તે પણ એક સમસ્યા છે. ત્યારે તે ધ્યાનમાં લેવું જોઈએ કે, ગુમરાહ અને લાચાર લોકો જીંદગી ટકાવવા કોઈ જોખમભર્યો રસ્તો પણ પસંદ કરી શકે છે.
વેલ, આ સ્થિતિ વચ્ચે એક તે બાબત તરફ પણ ધ્યાન ગયું કે, આ કપરા કાળમાં કેટલાક ધંધા વ્યવસાયો તેવા પણ ચમક્યા કે, જ્યાં કોરોના કે મંદીની કોઈ અસર નથી થઇ. જેમાં એક વ્યવસાય સોશલ મીડિયા માં કામ કરવાનો અંગેનો છે. જેમાં 2020 દરમ્યાન કેટલાક પેપરોમાં જાહેરાત આપવામાં આવી હતી. અને તેમાંથી તમને આશ્ચર્ય થશે પણ આ ખરાબ સમયમાં પણ 60,000 લોકોને સ્પેશયલ કામ માટે પસંદ કરવામાં આવ્યા. ત્યારે તે પણ જાણી લો કે, આ યુવાનોએ સોશલ મીડિયા પર ભાષણો , બયાનો, પ્રવક્તા પ્રશિક્ષણ, ચૂંટણી વોર રૂમ, અને પ્રચારતંત્ર જેવા રાજનીતિક કામો કરવાના હતા. જે કોઈપણ પક્ષના હોય.
જેમના 5 હજાર યુવાનોને એક પક્ષને અપગ્રેડ કરવાનું કામ સોંપવામાં આવ્યું. અને આ કંપનીને એક રાષ્ટ્રીય પક્ષે 350 કરોડનો કોન્ટ્રાકટ આ કામ માટે આપ્યો હતો. ત્યારે નોંધવું રહ્યું કે, આવી અનેક કંપનીઓ આજે માર્કેટમાં મેદાનમાં છે. અને તેમના ખુદના પ્રશિક્ષણ સંસ્થાનો છે કે જ્યાં તેમને હાઈટેક શિક્ષણ આપવામાં આવે છે, અને આ શિક્ષણ દ્વારા નફરત ફેલાવતી સામગ્રી વાઇરલ કરવાની ટેક્નિક શીખવવામાં આવે છે. તેવી ફોટોશોપ આવેલબલ છે કે, જે કોઈ ચોક્કસ પક્ષ, વ્યક્તિ કે સમુદાય વિરુદ્ધ ઝેર ઓકતું અભિયાન ચલાવે છે. અને આ કામ માટે તેમને સારી તેવી રકમ પણ ચૂકવાય છે.
ત્યારે કહેવાનો આશય છે કે, જયારે સારી નોકરી ધંધાઓ ખતમ થવા પર છે ત્યારે નફરતનું બઝાર લોકોના મોબાઈલને ગરમ કરી રહ્યું છે. અને આ પ્રકારે રોજ સવારે જ્ઞાનગંગાના મેસેજો સાથે આવા કોઈ વ્યક્તિલક્ષી કે પાર્ટી કે સમુદાયલક્ષી મેસેજો સવાર સવારમાં જ લોકોનું દિમાગ તેજ કરી નાખે છે. ફિલોસોફીથી થાકેલા લોકો પણ આવા અધકચરા અને પર્પેચ્યુએટ મેસેજોને સાચા સમજી આ અફવા બઝારમાં જાણે-અજાણે ધકેલાય છે. ત્યારે આ વ્યવસાય પર આજ નહી તો કાલે નિયંત્રણો લાદવા તો જોઈશે જ. નહીંતર દેશમાં આ અફવાઓ અને ગેરમાર્ગે દોરતી સામગ્રી નવી મુસીબતો લઈને આવશે.વધુ માં એક બાબત તે પણ છે કે, ખાલી પડેલા સ્થાનો સરકારી કક્ષાએ ભરાવવા તો જોઈએ જ.
કેમ ,કે આનાથી ન કેવળ રોજગારી વધશે, બલ્કે નાણાં પણ ફરતા થશે. અને સૌથી મોટી બાબત તો તે કે, તંત્રની કામગીરી મેન પાવરના હિસાબે જે યોગ્યપણે સંચાલિત થતા નથી, તેમાં ઉર્જા આવશે. કામો યોગ્ય સમયે પુરા થશે. લોકો ગુમરાહ થતા અટકશે. બાકી નવી નોકરીઓનું સર્જન પણ કોઈપણ પોલિસી અન્વયે થવું તો જોઈએ જ. નહીંતર ખાલી દિમાગ શેતાન કે ઘર હોતા હૈ ની જેમ નવરા યુવાનો કોઈ લપસણા માર્ગે જઇ ચડશે જે દેશને અને તેમને પણ નુકસાન જ કરશે.
રીના બ્રહ્મભટ્ટ, કટાર લેખક
