સંજય મહંત, સુરત @મંતવ્ય ન્યૂઝ
સુરતના પાંડેસરા સત્યનારાયણ નગરમાં પ્રથમ પતિથી છુટાછેડા લીધા બાદ પ્રેમલગ્ન કરનાર મહિલાને પતિએ મુઢ માર મારી મોતને ઘાત ઉતાર્યા બાદ તેનું બિમારીમાં મોત થયાનું કહી અંતિમ સંસ્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં મહિલાને આંતરિક ઇજાથી મોત થયાનું સ્પષ્ટ થતા પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
સુરતના નવાગામ-ડીંડોલીના સાંઇબાબા નગર સોસાયટીમાં રહેતા સાહેબરાવ બાવીસ્કરની પુત્રી કવિતાએ પ્રથમ પતિ સાથે મનમેળ નહીં હોવાથી 12 વર્ષ અગાઉ છુટાછેડા લઇ ડાઇંગ મીલમાં નોકરી કરતા વિજય આનંદા પાટીલ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. પરંતુ લગ્નના થોડા સમયમાં જ વિજયે ઘરખર્ચ માટે પૈસા આપવાનું બંધ કરી દેતા બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. પતિ વારંવાર ઝઘડા કરી શારિરીક-માનસિક ત્રાસ ગુજારતો હોવાની જાણ કવિતાએ તેના માતા-પિતાને કરી હતી. દરમિયાનમાં બે દિવસ અગાઉ કવિતાની ત્રણ-ચાર દિવસથી તબિયત ખરાબ છે અને તેનું મોત થયું હોવાની જાણ વિજયે તેના સાસરીયાને કરી હતી.
જેથી કવિતાના માતા વિમલબેન અને ભાઇ જ્ઞાનેશ્વર વિજયના ઘરે દોડી ગયા હતા. જયાં કવિતાની બંને આંખો બહાર આવી ગઇ હતી અને પેટ ફુલી ગયું હતું. વિજયે કવિતાની બિમાર હતી અને મોત થયું છે એમ કહી અંતિમ સંસ્કાર કરવા માટે શબવાહિની બોલાવી હતી. પંરતુ શબવાહિનીના સ્ટાફે પોલીસને જાણ કર્યા બાદ મૃતદેહ લઇ જવાનું કહેતા નાછુટકે પોલીસને જાણ કરી હતી. પોલીસે લાશનો કબ્જો લઇ નવી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જેમાં કવિતાના છાતી, ફેફસા અને હ્રદયમાં આંતરિક ઇજા થઇ હોવાનું અને મોત 36 થી 38 કલાક અગાઉ થયું હોવાનું જણાવતા વિજયના જુઠાણાનો પર્દાફાશ થઇ ગયો હતો. જેને પગલે પાંડેસરા પોલીસે પતિ વિજય પાટીલ વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.