IAS Srinivas Katikithala: હાલમાં કેન્દ્ર સરકારમાં ફરજ બજાવતા તેલંગણાના વતની પણ ગુજરાતને બીજું ઘર બનાવનારા IAS Officer શ્રીનિવાસ કટિકિથાલા (IAS Srinivas Katikithala) ભલે અધિકારી સાઉથના હતા, પણ તેમનો અભિગમ હંમેશા ઉત્તરનો જ રહ્યો હતો. ગુજરાતમાં સનદી અધિકારી તરીકેની તેમના કાર્યકાળમાં તેમની ભૂમિકા હંમેશા એવા જ અધિકારીની રહી હતી કે વહીવટીતંત્રના પ્રયત્નો સુગ્રથિત હોય, સારી રીતે સંકલન હોય, તંત્ર પ્રજાને સમાંતર રહીને કામ કરે.

સરકારી કર્મચારી કર્મચારી નહી માનવ સેવાના ભેખધારી
IAS Srinivas Katikithalaની જો સૌથી મોટી સિદ્ધિ હોય તો સરકારી કર્મચારીને ફક્ત સરકારી કર્મચારી જ ન ગણીને માનવ સેવાના ભેખધારીઓ ગણવાની હતી. તેમણે સરકારી કર્મચારીઓને અહેસાસ અપાવ્યો હતો કે તેઓ ફક્ત એક સરકારી વિભાગ કે એકમ નથી, સરકારી તંત્રનું એક સજીવ અંગ છો, તમે જે પણ કંઈ કરો છો તેની હજારો અને લાખો લોકો પર અસર પડે છે. આ પ્રકારે સરકારી કર્મચારીઓને પ્રેરણા આપીને તેમને કામમાં વધુને વધુ ચીવટ રાખવા અને વધુને વધુ પ્રમાણમાં જનહિતાર્થે કામ કરવા પ્રેર્યા. તેના કારણે સરકારી કર્મચારી પણ પોતાના સામાન્ય ગણાતા વહીવટી કાર્યને બીબાઢાળ કામ સમજવાના બદલે માનવસેવાનું કામ સમજતો થયો અને ગૌરવપૂર્વક કાર્ય કરવા માંડ્યો હતો.

IAS Srinivas Katikithala: શિસ્તનો આગ્રહ
શ્રીનિવાસ (IAS Srinivas Katikithala) શિસ્તના ખૂબ જ આગ્રહી હતા. તેમનું સ્પષ્ટપણે માનવું હતું કે ગમે તેટલું તંત્ર સારું હોય પરંતુ શિસ્તનો અભાવ હોય તો તે ઇચ્છિત પરિણામ આપી શકતું નથી. 1989ની બેચના ગુજરાત કેડરના આ અધિકારી રાજ્ય સ્તરે ઘણા મહત્વનો હોદ્દાઓ પર કામગીરી બજાવી ચૂક્યા છે. ગુજરાતમાં મહેસૂલ વિભાગના સચિવ હતા તે સમયે જ તેમણે મહેસૂલ વિભાગના જમીન રેકર્ડનું ડિજિટાઇઝેશન શરૂ કર્યુ હતુ, આ ઉપરાંત જમીન માપણી અને દસ્તાવેજોની પ્રક્રિયા તેમણે ઓનલાઇન કરવાના કારણે ભ્રષ્ટાચારમાં નોંધપાત્ર ઘટાડો થયો, આ ઉપરાંત વિસંવાદિતા ઘટી અને તેના કારણે કોર્ટમાં થતાં હજારો કેસોની સંખ્યા પણ ઘટી. આજે ખેડૂતોને ગ્રામ પંચાયતમાંથી જ 7-12નો જે ઉતારે ઓનલાઇન મળી જાય છે, તેમા તેમનો સિંહફાળો છે.

નર્મદા જિલ્લાના વિકાસમાં મહત્વની ભૂમિકા
આટલું જ નહીં આજે નર્મદા જેવા આદિવાસી અને પછાત જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) સ્થાપવામાં આવ્યું અને તેના કારણે આ જિલ્લાનો જે વિકાસ થયો તે બધાની આંખ સામે છે. તેમણે આખા જિલ્લામાં પ્રવાસનને લગતી જે સગવડો ઊભી કરવામાં સફળતા મેળવી તે આજે ફક્ત ગુજરાતના બીજા પ્રવાસન્ સ્થળો જ નહીં, બીજા રાજ્યો માટે પણ માપદંડ બની ગઈ છે. એક પછાત જિલ્લામાં પ્રવાસનને લગતી સગવડો કઈ રીતે ઊભી કરી શકાય અને કેવી રીતે ઊભી કરી શકાય તે સાઉથના આ અધિકારીએ બતાવી આપ્યું છે.

કોઈપણ સરકાર માટે જમીન સંપાદન ઘણો પેચીદો પ્રશ્ન હોય છે, પરંતુ શ્રીનિવાસે આ પ્રશ્નનને કાર્યક્ષમ વહીવટની મદદથી ઉકેલી નાખ્યો હતો. તેમનું માનવું હતું કે હંમેશા લોકો અને તંત્ર વચ્ચે વિશ્વાસની કમી હોય છે, એક વખત જો તમે વિશ્વાસ સંપાદન કરો તો લોકોને તમારી વાતને સમજવા તૈયાર હોય છે, પરંતુ તેના માટે નિર્ણાયક અભિગમ અને જનસંવાદની શૈલી વિકસાવવી જરૂરી છે.

પોલિટિકલ સાયન્સનો અભ્યાસ રાજકારણીઓ સાથે કામ કરવામાં ઉપયોગી નીવડ્યો
પોલિટિકલ સાયન્સમાં તેમણે બીએ કર્યુ છે અને તેના પછી કાયદામાં માસ્ટરની ડિગ્રી મેળવી છે. પોલિટિકલ સાયન્સનો અભ્યાસ તેમને વહીવટની સાથે રાજકીય હોદ્દેદારો સાથે કામ પાર પાડવામાં ઘણો ઉપયોગી નીવડ્યો છે. તેના કારણે તેઓ તેમની વહીવટી કુશળતાનો તાલમેળ રાજકીય આકાંક્ષાઓ સાથે બેસાડી શક્યા છે.

તેમણે ગુજરાતમાં જૂનાગઢ અને નર્મદા જિલ્લામાં પ્રભાવશાળી કામગીરી કરી હતી. તેમની ક્ષમતાને જોઈને કેન્દ્ર સરકારે તેમને દેશભરના આઇએએસ અધિકારીઓને માર્ગદર્શન આપવા દિલ્હી બોલાવ્યા હતા. તેના કારણે તેમણે ભાવિ આઇએએસને તાલીમ આપતી સંસ્થાના વડા તરીકેની જવાબદારી સંભાળી હતી. આજે કેન્દ્રમાં તેમની ગણતરી એક સુધારાવાદી અધિકારી તરીકે થાય છે. પીએમઓમાં પણ પણ તેમની ગણતરી ગણનાપાત્ર અધિકારીમાં થાય છે. જટિલ વહીવટી પ્રક્રિયાને કેવી રીતે સુચારુ કરી શકાય તેમા તે માહેર છે.
આ પણ વાંચો:IAS અધિકારી રાજકુમારઃ બ્યૂરોક્રેસીમાં હોવા છતાં બ્યૂરોક્રેસી જેમને સ્પર્શી નથી
આ પણ વાંચો:આદિવાસીઓના વિકાસ માટે અગ્રેસર નર્મદા જિલ્લાના કલેક્ટર IAS સંજય મોદી
આ પણ વાંચો:IAS અધિકારી ડો. વિપિન ગર્ગ, રીક્ષાવાળાની પ્રામાણિકતા બની પ્રેરણાસ્ત્રોત
