પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ના વડા મહેબૂબા મુફ્તીએ સોમવારે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં આ પાર્ટીથી છૂટકારો મેળવવો એ 1947થી મોટી આઝાદી હશે કારણ કે તેઓ દેશના ભાગલા પાડવા માગે છે. મુફ્તીએ જમ્મુમાં પીડીપીના આદિવાસી યુવા સંમેલનમાં કહ્યું હતું કે, “યુપીમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે, ત્યારે ભાજપના નેતાઓ ઔરંગઝેબ અને બાબરને યાદ કરી રહ્યા છે. આજે ભાજપથી છૂટકારો મેળવવાનો મોકો મળ્યો છે.”
મુફ્તીએ વિકાસ કામોના મુદ્દે ભાજપ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે ભાજપે બતાવવું જોઈએ કે ક્યાં વિકાસ થયો છે, કારણ કે તેમણે રાજ્યનો વિકાસ કરવાનું વચન આપ્યું હતું”તેઓ બહારના લોકોને નોકરી અને જમીન આપી રહ્યા છે અને વચન આપે છે કે તેઓ રાજ્યનો વિકાસ કરશે. હું તેમને કહું છું કે યુપીમાં વિકાસ ક્યાં થયો છે તે બતાવો. તેઓ યુપીના લોકોને હોસ્પિટલો પણ આપી શકતા નથી.”
ઉત્તર પ્રદેશમાં સાત તબક્કામાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થશે. યુપીમાં 403 વિધાનસભા બેઠકો માટે 10 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી 7 તબક્કામાં મતદાન થશે. રાજ્યમાં પ્રથમ તબક્કાનું મતદાન 10 ફેબ્રુઆરીએ થશે. બીજો તબક્કો 14 ફેબ્રુઆરી, ત્રીજો તબક્કો 20 ફેબ્રુઆરી, ચોથો તબક્કો 23 ફેબ્રુઆરી, પાંચમો તબક્કો 27 ફેબ્રુઆરી, છઠ્ઠો તબક્કો 3 માર્ચ અને સાતમો તબક્કો 10 માર્ચે યોજાશે.
જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને દાવો કર્યો હતો કે ભાજપના શાસનમાં જમ્મુ-કાશ્મીરનું અસ્તિત્વ જોખમમાં છે. તેમણે આરોપ લગાવ્યો કે શાસક પક્ષ તેના વિરોધીઓને ડરાવવા માટે સરકારી એજન્સીઓનો દુરુપયોગ કરી રહ્યો છે અને યુવાનોએ ડર્યા વિના “પ્રેમ અને મિત્રતા” ફેલાવીને દેશ સામેના પડકારોનો સામનો કરવો જોઈએ.