Gujarat Agriculture News: વિધાનસભા ગૃહમાં પશુપાલન મંત્રી રાઘવજી પટેલે ચાફકટર સહાય યોજના અંતર્ગત સુરત અને જૂનાગઢ જિલ્લામાં ચૂકવાયેલા સહાય અને તેના ઉદ્દેશો અંગે માહિતી આપી હતી, જેમાં સુરત જિલ્લાના બિનઅનામત, અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના નાના ખેડૂતો માટે વર્ષ 2022 અંતિત 55.26 લાખ રૂપિયા, જ્યારે જૂનાગઢ જિલ્લામાં આ તમામ કેટેગરીના ખેડૂતોને વર્ષ 2022 અંતિત 15.28 લાખ રૂપિયા ચાફકટર સહાય પેટે ચૂકવવામાં આવ્યાં હોવાનું જણાવ્યું હતું.
રાઘવજી પટેલે આર્થિક સહાય અંગેની આ યોજનાના હેતુઓ સ્પષ્ટ કરતા કહ્યું હતું કે, ઘાસચારાને નાના-નાના ટુકડા કરીને પશુઓને નીરણ કરવામાં આવે તો ઘાસચારાનો બગાડ અટકાવી શકાય છે, સાથે સાથે પશુઓને સુપાચ્ય આહાર મળી રહે છે. જેના પરિણામે દૂધ ઉત્પાદનમાં વધારો નોંધાયેલો જોવા મળ્યો છે, જેથી પશુપાલકોની આર્થિક સુખાકારી વધે છે અને પશુઓનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. રાઘવજીએ યોજનાની સહાયના ધોરણો અંગે જણાવ્યું હતું કે, ઓછામાં ઓછા પાંચ પશુઓ ધરાવતા પશુપાલકોને 18,000 સુધીની સહાય ચૂકવવામાં આવે છે. આ માટે યોજનાનો લાભ મેળવવા ઈચ્છતા વ્યક્તિએ આઈ-ખેડૂત પોર્ટલ પર કે પશુ દવાખાના પર જઈને ઓનલાઈન અરજી કરવાની હોય છે. અરજીની સાથે રેશન કાર્ડ, સરકાર માન્ય ઓળખપત્ર, બેંક પાસબુકની નકલ કે કેન્સલ કરેલ ચેક જોડવાનો રહે છે.
ખેડૂતોના આકસ્મિક મૃત્યુ અંગે રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ખેડૂતોને કટોકટીમાં આર્થિક સહાય પૂરી પાડવા માટે 1996થી ખેડૂત અકસ્માત વીમા યોજના અમલમાં મૂકી છે. કચ્છ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં 136 ખેડૂતોને 264 લાખની સહાય મળી છે. આજે વિધાનસભામાં કચ્છ જિલ્લામાં ખેડૂત અકસ્માત વીમા સહાય યોજના અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્યના તમામ ખેડૂતોને આ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. જેમાં આકસ્મિક મૃત્યુ, કાયમી અપંગતાના કિસ્સામાં સહાયની રકમ ચૂકવવામાં આવે છે. આ સાથે ભાડુઆત ખેડૂતોના સીધા વારસદારોને પણ સહાય આપવામાં આવે છે. આ માટે, ખેડૂતોએ કોઈ પ્રીમિયમ ચૂકવવું પડતું નથી, રાજ્ય સરકાર ખેડૂતો વતી વીમા પ્રિમિયમની રકમ ચૂકવે છે.
આ પણ વાંચો: Khokhara bridge scam/ખોખરા બ્રિજ કૌભાંડઃ વિપક્ષનો પહેલી વખત ખોખલો નહી પણ મક્કમ વિરોધ
આ પણ વાંચો: મોટો ફેસલો/“હાથ પકડી ને તમે તાર કરો પ્રેમ”….પ્રેમી’ને હાઈકોર્ટ તરફથી રાહત
આ પણ વાંચો: અજબ પ્રેમ કી ગજબ કહાની/ડીએલએફ દીવાના બના દેઃ માલિક કેપી સિંહને 91 વર્ષની ઉંમરે થયો પ્રેમ