ભવાનીપુરની ચૂંટણીનું પરિણામ આવવાનું હોય તે આવે અને આગામી ચૂંટણીમાં કોંગ્રેસની જે હાલત થવાની હોય તે થાય પણ કોંગ્રેસની સાથે વિપક્ષી મોરચો બનાવવા અને દિલ્હીમાં કોંગ્રેસની નેતા ત્રિપુટી કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધી, યુવરાજ રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંદી વાડ્રાને મળી વિપક્ષી એકતાના નારા જગાવનાર પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનરજીએ એક પછી એક પાંચથી સાત ખેલ જે પાડ્યા છે તે દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસના અસ્તિત્વ પર ખતરો ઉભો કરનારા છે. રાજકીય નિરિક્ષકો આ સિદ્ધિઓ ગણાવતા નોંધે છે કે પહેલા મહિલા કોંગ્રેસના પ્રમુખ સુસ્મિતા દેવને તોડી ટીએમસીએ આસામમાં પગપેસારો કર્યો. ત્રિપુરામાં મુકુલ રોયની ઘરવાપસી બાદ ટીએમસી ફરી સક્રિય થઈ હતી. ત્યાં ભાજપમાં ગાબડું પાડવાનો વ્યૂહ ઘડી રાખ્યો છે. આ ગાળામાં ત્રિપુરા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ સહિત ત્રણ આગેવાનોને પોતાની છાવણીમાં ખેંચીને કોંગ્રેસને બીજાે ફટકો માર્યો છે. હવે ગોવાના પૂર્વ કોંગ્રેસી મુખ્યમંત્રી એડવર્ડ ફ્લેરીઓએ કોંગ્રેસ છોડી દીધી છે અને મમતા બેનરજીના વખાણ કર્યા છે. તેના પરથી એવું લાગે છે કે કદાચ તેઓ પણ ટીએમસીમાં સામેલ થઈ શકે છે. થોડા સમય પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુકરજીના પુત્ર અભિષેક મુખરજી ટીએમસીમાં જાેડાઈ ચૂક્યા છે તો પ્રણવદાના પુત્રી શર્મિષ્ઠા મુખરજીએ અત્યારે તો રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે.
આ બધા વચ્ચે એક સમાચાર એવા પણ આવ્યા છે કે જાણીતા ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર (પી.કે.) ભવાનીપુરના મતદાર બન્યા છે. ભવાનીપુર એ એ મત વિસ્તાર છે જ્યાંથી મમતા બેનરજી બે વખત ચૂંટણી જીત્યા છે અને સામાન્ય ચૂંટણીમાં નંદીગ્રામ બેઠક પરથી ચૂંટણી હારી ગયા હોવાને કારણે હવે ભવાનીપુરની બેઠકપરથી તેઓ ચૂંટણી લડે છે. પ્રંશાત કિશોરની કંપની સાથેનો કરાર ટીએમસીએ લંબાવ્યો છે. પ. બંગાળ વિધાનસભાની ચૂંટણી બાદ આ કરાર પૂરો થયો હતો. હવે મમતા બેનરજીએ પ્રશાંત કિશોરે ટીએમસી વતી રાજ્યસભાની હાલ ખાલી પડેલી બેઠક પરથી રાજ્યસભામાં મોકલવાનો વ્યૂહ પણ તૈયાર કર્યો છે. આનો શું અર્થ સમજવો ? કોંગ્રેસના ત્રિપુટી મોવડીઓની ઉપરાછાપરી મુલાકાત બાદ પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જાેડાશે અને ગુજરાતમાં ચૂંટણી મનેજમેન્ટની જવાબદારી પણ સંભાળશે તેવી અટકળો તેજ હતી. જાે કે જી-૨૩ના કેટલાક આગેવાનોએ વીરપ્પા મોઈલી સિવાય પી.કે.ના કોંગ્રેસ પ્રવેશ સામે વાંધો પણ ઉઠાવ્યો છે. પી.કે. અંગે ગુજરાત વિધાનસભાના ઘણા સભ્યોએ માગણી પણ કરી છે. પી.કે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકી સાથે પણ બેઠક કરી ચૂક્યા છે. હવે આ બધા સંજાેગો વચ્ચે જાે પી.કે. ટી.એમ.સી. વતી કોઈ જવાબદારી સ્વીકારે તો તેનો સીધો સાદો અને સરળ અર્થ એ જ થાય કે તેઓ કોંગ્રેસમાં આવવા માગતા નથી. જાે મમતાનો આ દાવ સાચો પડે તો મમતાએ કોંગ્રેસના મૂળમાં જ ઘા કર્યો છે તેવું ગણિત સહેલાઈથી ગણી શકાય.
આ બધું રાજકીય ગણતરી અને ભાજપના બદલે કોંગ્રેસ પર ઘા કરી મજબૂત બની ભાજપને પડકારવા મમતા બેનરજીએ વ્યૂહનીતિ અપનાવી છે તેવું સહેલાઈથી કહી શકાય. જાે કે આજના સંજાેગોમાં મોદી સામે સોનિયા રાહુલ પ્રિયંકા સહિતના તમામ નેતાઓ ઢીલા પડે છે ત્યારે મમતા વધુ મજબૂત નેતા અત્યાર સુધી તો પૂરવાર થયા જ છે. શ્રીમતી સોનિયા ગાંધી પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસનું અસ્તિત્વ જળવાઈ રહે એટલા માટે મમતા સાથે મૈત્રીનો હાથ લંબાવ્યો છે પરતુ મમતા દીદી કોંગ્રેસની પણ સુપ્રિમો બનવા માગતા હોય તેવી છાપ વિશ્લેષકોમાં ઉભી થવા પામી છે. બિહારમાં લાલુપ્રસાદ, તમિલનાડુમાં સ્ટાલિન, મહારાષ્ટ્રમાં ઉધ્ધવ ઠાકરે અને શરદ પવાર, યુ.પી.માં અખિલેશ કે માયાવતી કોંગ્રેસને જે કક્ષામાં ગણે છે તે જ કક્ષામાં મમતા દીદી કોંગ્રેસને ગણતા હોય તેવું લાગે છે.
હવે તાજેતરમાં તૃણમુલ કોંગ્રેસના મુખપત્ર ‘જાગો બાંગ્લા’માં કોંગ્રેસ પર પ્રહારો કરાયા છે. જેમાં જણાવાયું છે કે કોંગ્રેસ ભાજપ દ્વારા બતાવાતા ભય સામે સહેલાઈથી ઝૂકી જાય છે અને વારતહેવારે ભાજપ સાથે સોદાબાજી પણ કરતી રહે છે. આ ટીએમસી મુખપત્રના તંત્રીલેખમાં જણાવાયું છે કે કોંગ્રેસના વારસાનો ધ્વજ અત્યારે ટીએમસીના હાથમાં છે. આ સમુદ્ર છે, બાકી બધા તળાવ છે. આ લેખમાં તૃણમુલ કોંગ્રેસ જ અસલી કોંગ્રેસ છે તેવો દાવો પણ આડકતરી રીતે કરી નાખવામાં આવ્યો છે.
મમતા બેનરજી મુળભૂત તો કોંગ્રેસી જ છે. બંગાળમાં યુવક અને મહિલા કોંગ્રેસનું નેતૃત્વ પણ સંભાળી ચૂક્યા છે. ૧૯૮૭ના સમયગાળામાં તેઓ કોંગ્રેસી વડાપધાન અને સોનિયાજીના પતિ રાજીવ ગાંધીએ બંગાળમાં ડાબેરીઓ સામે ઝીંક ઝીલતા નેતા તરીકે ગણાવીને તેમની ભરપુર પ્રશંસા પણ કરી હતી. નરસંહરાવના કાર્યકાળ દરમિયાન મમતા દીદી કોંગ્રેસથી અલગ પડ્યા અને તૃણમુલ કોંગ્રેસની રચના કરી. આ ટીએમસીએ એક જમાનામાં વાજપાઈજી વખતે એન.ડી.એ.ના ઘટક તરીકે પણ કામ કર્યું હતું. જ્યારે ૨૦૦૯માં તેઓ યુપીએ સાથે જાેડાયા ને મનમોહનસિંહની સરકારમાં રેલવે મંત્રી પણ બન્યા હતાં. ૨૦૧૧ની ચૂંટણી કોંગ્રેસ અને ટીએમસી સાથે મળીને લડ્યા હતા. જાે કે આ ચૂંટણીમાં મુખ્ય પક્ષ ટીએમસી હતો અને કોંગ્રેસ ગૌણ પક્ષ હતો. ૨૦૧૧માં ટીએમસીએ ડાબેરીઓનો ૩૪ વર્ષ જૂનો કિલ્લો ધ્વસ્ત કરી સત્તા મેળવી. પરંતુ ૨૦૧૨ બાદ એફ.ડી.આઈ.ના મુદ્દે ટીએમસીએ યુપીએ સાથેની ભાગીદારી સમાપ્ત કરી ૨૦૧૬ અને ૨૦૨૧ની ચૂંટણી તેમણે એક બે હાથે લડી બતાવી પોતાની તાકાત તો જાળવી પણ કોંગ્રેસ અને ડાબેરીઓની તાકાત ભાજપમાં ભળી ગઈ. જેના કારણે ભાજપની તાકાત ૩માંતી વધીને ૭૫ ધારાસભ્યોની થઈ. હવે ભાજપા ધારાસભ્યો વચ્ચે ટીએમસીમાં વાપસી કરવાની સ્પર્ધા શરૂ થઈ છે. જ્યારે સત્તાની હેટ્રીક કર્યા બાદ મમતા દીદીની રાજકીય મહત્વાકાંક્ષા વધી છે. રાષ્ટ્રીય ફલક પર ચમકવા વિપક્ષી એકતાના નામે પહેલો દાવ નાખ્યો એ ઉપર જણાવી ગયા તે પ્રમાણે કોંગ્રેસના ભોગે અન્ય રાજ્યોમાં પણ મજબૂત બનવાનો ખેલ શરૂ કર્યો છે અને હવે તો પોતાના પક્ષના મુખપત્ર ‘જાગો બાંગ્લા’માં ટીએમસી જ અસલી કોંગ્રેસ હોવાનો દાવો કરી નાખ્યો છે. દિલ્હીમાં આપ ભાજપ કરતાં કોંગ્રેસની તાકાતથી મજબૂત બન્યો. ગુજરાતના સુરચની ચૂંટણીમાં મહાપાલિકામાં આપને જે ૨૯ બેઠકો મળી તેમાં ૧૮ કરતાં વધુ બેઠકો કોંગ્રેસની જ છે. હવે મમતા દીદી પણ આજ માર્ગે આગળ વધવા માગતા હોય તેવું લાગે છે.
Political / CM કેજરીવાલે પંજાબમાં ચૂંટણી વચનોની કરી જાહેરાત, વિજળી બાદ હવે મળશેે મફત સારવાર
અમદાવાદ / અમિત જેઠવા હત્યાકેસમાં આ પૂર્વ સાંસદને મળી રાહત, HCનો જામીન પર છોડવા હુકમ