સામાન્ય બોલાચાલીમાં ગઈ કાલે મોડી રાત્રે જમાલપુર વિસ્તારમાં મારામારીની ઘટના બની હતી.જેમાં બે વ્યક્તિઓએ પોતાની પાસે રહેલી છરી વડે એક મહિલા થતા એક પુરુષ ઉપર હુમલો કરી દેતા બંને લોકોને શારીરિક ઈજાઓ પહોંચતા તેમને આસપાસના લોકોએ 108 મારફતે શારદાબેન હોસ્પિટલમાં લઇ ગયા હતા. આ મામલે ફરિયાદીએ ગાયકવાડ હવેલી પોલીસ મથકમાં બે ઇસમોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બને આરોપીની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જમાલપુર સોદાગરની પોળમાં રહેતા યુનુશ ભાઈ શેખે ગાયકવાડ હવેલી પોલીસ મથકમાં આતીશ મલેક અને ઇસ્માઇલ મલેક સામે મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપતી ફરિયાદ નોંધાવી છે કે ગઈ કાલે રિયાઝ હોટેલની પાસે તેઓ ઉભા હતા ત્યારે આતીશ અને ઇસ્માઇલ બંને જણા તેમની પાસે આવ્યા હતા અને જૂની કોઈ વાતચીતને ફરીથી બહાર કાઢીને તેના ઉપર ગુસ્સે થવા લાગ્યા હતા. જેથી ફરિયાદીએ તે મામલે ગુસ્સે ન થવા અને શાંતિથી વાત કરવા જણાવતા બંને ઈસમો વધુ ઉશ્કેરાઈ ગયા હતા અને તેમણે ફરિયાદી સાથે ઝપાઝપી શરુ કરી દીધી હતી. ફરિયાદીએ પોતાનો સ્વબચાવ કરવાની કોશિશ કરતા બંને આરોપીઓએ તેમની પાસે છરીઓ કાઢીને ફરિયાદી યુનુશ ભાઈ ઉપરછાપરી ત્રણ ઘા મારી દેતા તેઓ લોહીલુહાણ થઇ ગયા હતા. ફરિયાદીને છોડાવવા માટે તેમની માતા પણ વચ્ચે પડતા બંને આરોપીઓએ તેમના હાથમાં પણ છરી મારી દીધી હતી.
માં બેટાને છરીના ઘા વાગી જતા આસપાસના લોકોએ તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે શારદા બેન હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં સ્થળ ઉપર હાજર ડોક્ટરે તેમની સારવાર કરીને હોસ્પિટલમાં રજા આપી દીધી હતી. ઈજાગ્રસ્ત બનેલા યુનુશ ભાઈએ ગાયકવાડ હવેલી પોલીસ મથકમાં આતીશ અને ઇસ્માઇલ મલેક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.