દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસેલા વરસાદે ગુજરાતનાં અનેક જિલ્લામાં કહેર મચાવ્યો છે. તેમાં પણ દક્ષિણ ગુજરાતનાં જીલ્લામાં ભારે તબાહી સર્જી છે. ચાલુ વર્ષે સમગ્ર રાજ્યની સાથોસાથ ભરૂચ જિલ્લા અને જંબુસર તાલુકામાં લાંબા સમયથી રોજિંદા બનેલા હળવાથી ભારે વરસાદને પગલે અત્ર તત્ર સર્વત્ર પાણી પાણી જ કરી નાખ્યું છે. જંબુસર પંથકની ખેતી વાડીમાં ઠેર ઠેર જમીનમાં પાણી ભરાઈ રહેતા વાવેતર નિષ્ફળ નિવડ્યું છે. તાલુકાની ખેતીની વિશાળ જમીનો જળનું સ્થળ બની ગઈ છે.
ઢાઢર નદીના પૂરના પગલે કિનારાના મગણાદ, મહાપુરા, કુંઢળ, અણખી ,બોજાદરા , વહેલમ, જાફરપુરા વિગેરે ગામોમાં પારાવાર નુકસાન થયું છે. ઢાઢર કિનારાના ગામોમાં સેંકડો એકર જમીનમાં વાવેતર બબ્બે વાર સ્વાહા થઈ ગયું છે. પરિણામે કિસાનોના હાલ – બેહાલ થયા છે. તાલુકા પંચાયત ખેતીવાડી શાખામાંથી પ્રાપ્ત આંકડા મુજબ પ્રાથમિક અંદાજિત મુજબ તાલુકાના કુલ ૮૨ ગામડા થઈને ખેતીલાયક ખેડાણ હેઠળ નો જમીન વિસ્તાર ૬૬૧૨૨ હેક્ટર છે. તેમાં ૩૫૨૯૯ ખેડૂતો ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે.
તાલુકામાં કપાસ અને તુવેરના મુખ્ય પાક લેવાય છે. તેમાં કુલ વિસ્તારના ૩૦ હજાર હેક્ટરમાં કપાસ અને ૧૧ હજાર હેક્ટરમાં તુવેરનું વાવેતર કરાયું હતું જ્યારે ઘાસચારો, શાકભાજી જેવા અન્ય પાકો ૪૮૫ હેક્ટર માં વાવણી થઈ હતી. તે જોતા તાલુકાની કુલ ખેડવા યોગ્ય જમીન ૬૬૧૨૨ હેક્ટર પૈકી ૪૧૪૮૫ હેક્ટરમાં વાવણી થઈ હતી.તે સામે તાજેતરમાં થયેલ સતત અતિવૃષ્ટિને કારણે ૧૨૦૬૮ હેકટર કપાસ તથા ૫૦૫૦ હેક્ટર તુવેર તથા અન્ય પાકો ૧૪૩ હેક્ટરમાં પ્રાથમિક અંદાજિત નુકસાનના અહેવાલ મળી રહ્યા છે. આ નુકસાનનો આંકડો વરસાદના વિરામ બાદ વધી શકે છે. જંબુસર તાલુકાના કિસાનો બેવડા બિયારણના નાશથી હતાશા અનુભવી રહ્યા છે.
ગત વર્ષે પણ ઢાઢર કિનારાના ગામોમાં મોટું કૃષિ પાક નુકસાન થવા પામ્યું હતું છતાં સરકારી સહાય ના પેકેજથી નુકસાનગ્રસ્ત ગામો બાકાત રાખવામાં આવ્યા હતા. ચાલુ વર્ષે થયેલા નુકસાનનું વળતર ખેડૂતોને વહેલી તકે મળે તેવી વ્યવસ્થા ખેતીવાડી માટે પોષક નિવડશે. ઉપરાંત યુદ્ધના ધોરણે સહાય ચૂકવાય તેવી કિસાનોની માંગણી અને લાગણી છે એવી એક અખબારી યાદીમાં જંબુસર તાલુકા પંચાયતના માજી પ્રમુખ પ્રભુદાસ મકવાણાએ જણાવ્યું છે.
જંબુસર પંથકમાં 30 જૂનથી રાત્રિના ખેતીમાં વરસાદ શરૂ થયો હતો તે સમયાંતરે પડી રહ્યો છે અને ખેતીમાં ખેડ કરવા દીધી નથી તેથી ખેતરોનું વાવેતર નાશ પામ્યું છે. પરંતુ ખેતરોમાં અડાબીડ ઘાસ -નીંદણ જામી ગયું છે જે દૂર કરવા ખેડૂતોને ઝાઝી મહેનત અને ખર્ચ પડી શકે છે અને ત્યારબાદ તેમાં નવું વાવેતર શક્ય બનશે.
જંબુસર તાલુકાની ખેતીવાડીમાં અતિવૃષ્ટિના પગલે કૃષિ ક્ષેત્રે પારાવાર નુકસાન સેહવાનો વારો ફરી એક વાર ખેડૂતોને માથે આવ્યો છે. બિયારણોની સાથે મોંઘા નીંદણ નાશકો, હળ – ટ્રેક્ટર ખેડાણ અને ખેડૂતની કાળી મજૂરી એળે ગઈ છે. મોટાભાગના વિસ્તારોમાં જમીન ડુબાણ જવાથી વાવેતર નષ્ટ થઈ ગયું છે હામ હારી બેઠા છે. બે પૈસા ખેતીમાંથી પામવા છોકરાના મોંમાંથી કોળીયો કાઢી ખેતીમાં નાખતા ખેતીની આ હાલતથી જગતનો તાત ચિંતિત છે