આતંકીઓ પર કાળ બની રહેલા જમ્મુ-કાશ્મીરની સેનાને એક મોટી સફળતા મળી હોવાનુ બહાર આવી રહ્યુ છે. પુલવામા હુમલામાં સીઆરપીએફનાં 42 જવાનો શહીદ થયા બાદ જમ્મુ-કાશ્મીરમાં સેનાએ આતંકીઓ સામે ઓપરેશન ઓલ આઉટ તેજ બનાવી દીધું છે. જેમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે.
શોપિયામાં આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટનાં જમ્મુ-કાશ્મીર(ISJK)નાં કમાન્ડર ઈશફાફ અહેમદ સોફીને ઠાર કરી દીધો છે. આ આતંકી છેલ્લા ઘણા સમયથી ભારત પર હુમલાનું આયોજન કરી રહ્યો હોવાની ગુપ્ત માહિતી મળી હતી. ત્યારબાદ સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કરી તેને ઠાર કરી દીધો છે. સાથે સેનાએ મોટી સંખ્યામાં હથિયારો અને વિસ્ફોટકો જપ્ત કર્યા છે.
આતંકવાદી સોફી જમ્મુ-કાશ્મીરનાં સોપોરનો રહેવાસી હતો. ઘણા વર્ષોથી આતંકી પ્રવૃતિઓ કરતો હતો. સેના દ્વારા હજુ પણ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. જેને લઇને સ્કૂલ-કોલેજો બંધ કરાવી દીધી છે. સોફીએ અગાઉ અન્ય આતંકવાદી સંગઠનોમાં ટ્રેનિંગ લીધી હતી. તે હુમલાઓનાં પ્લાનિંગમાં માસ્ટર હતો. સેના હજુ આ વિસ્તારમાં આઇએસનાં અન્ય આતંકવાદીઓની શોધખોળ કરી રહી છે. શંકાસ્પદ વ્યક્તિની તુરંત પૂછપરછ કરવામાં આવી રહી છે.